'નકલી પહોંચ આપીને શ્રદ્ધાળુઓ પાસેથી દાન ઉઘરાવી લેવાતુ...' રામ મંદિર દાન ચોરી મુદ્દે નવો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Mandir donation theft: રામ મંદિરમાં દાનની ચોરીના મામલે ચાલી રહેલી તપાસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ તપાસ દરમિયાન પોલીસને આરોપીઓની પૂછપરછમાં એક મોટી સફળતા મળી છે. આરોપીઓએ આપેલી જાણકારી પરથી 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના નામે છાપવામાં આવેલી જૂની નકલી દાન પહોંચ બુક મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર મંદિરમાં આવતા દાનની ચોરી જ નહોતા કરતા, પરંતુ બહારથી આવતા ભક્તોને નકલી પહોંચ આપીને તેમની પાસેથી સીધા પૈસા પણ પડાવતા હતા.
અસલી જેવો જ લોગો અને દેખાવ, ભક્તો છેતરાતા રહ્યા
શરૂઆતના તબક્કામાં પકડાયેલા આરોપીઓ જેવા કે ટિન્નુ યાદવ, લવ કુશ, કરુણેશ અને અનુકલ્પ સહિતના શખ્સો ભક્તોને શંકા ન જાય તે માટે આ જ નકલી પહોંચ આપતા હતા. આ નકલી પહોંચ પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનો સત્તાવાર લોગો પણ છાપવામાં આવ્યો હતો અને તે એકદમ અસલી પહોંચ જેવી જ દેખાતી હતી, જેના કારણે ભક્તો ક્યારેય છેતરપિંડી પકડી શકતા નહોતા. જો કે, મંદિરમાં નવી ઑનલાઇન પહોંચ સિસ્ટમ શરૂ થતાં જ આ કાગળની નકલી પહોંચનો ખેલ બંધ થઈ ગયો હતો, કારણ કે ત્યારબાદ ભક્તો સીધા બેંક ખાતામાં અથવા ઓફિશિયલ કાઉન્ટર પર દાન જમા કરાવવા લાગ્યા હતા.
તત્કાલીન મહાસચિવ ચંપત રાય સવાલોના ઘેરામાં
આ આખા કૌભાંડમાં ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાયની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આક્ષેપ છે કે ચંપત રાયે 5 જૂનના રોજ જ આ ચોરી પકડી પાડી હતી અને પોલીસની મદદથી ચોરીના પૈસા પણ રિકવર કરી લીધા હતા. આમ છતાં, તે સમયે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ (FIR) કેમ નોંધાવવામાં ન આવી? આ રહસ્યમય મૌન જ અત્યારે આખા વિવાદનું મુખ્ય કારણ બન્યું છે. ટ્રસ્ટની બેઠકમાં પણ સભ્યોએ સવાલ કર્યો હતો કે ચંપત રાયને તપાસ કરવાનો અને સામગ્રી જપ્ત કરવાનો અધિકાર કોણે આપ્યો અને રિકવરી પછી FIR કેમ ન થઈ?
અખિલેશ યાદવની એન્ટ્રી બાદ મામલો રાષ્ટ્રીય સ્તરે ગાજ્યો
આ વિવાદ 7 જૂને ત્યારે સામે આવ્યો જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આ ચોરીનો ખુલાસો કર્યો. ત્યારબાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ટ્રસ્ટની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી કે જો 5 જૂને ચોરી પકડાતા જ તરત પોલીસ કેસ દાખલ કરી દીધો હોત, તો આ વિવાદ આટલો મોટો ન થાત અને સમયસર કાનૂની કાર્યવાહી થઈ શકી હોત. રામ મંદિર નિર્માણ અને પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દેશભરમાં જાણીતા બનેલા ચંપત રાયની છબીને આ ઘટનાથી મોટી આંચ પહોંચી છે.
બેદરકાર પદાધિકારીઓ સામે થઈ શકે છે ફોજદારી ગુનો
ટ્રસ્ટની બેઠકમાં પદાધિકારીઓની ભૂમિકા અને તેમની નૈતિક જવાબદારી પર આકરા પ્રહારો થયા હતા. સભ્યોએ સ્પષ્ટ કર્યું કે મંદિરમાં આવતા દાનની સુરક્ષા અને તેની ગણતરીની દેખરેખ રાખવી એ પદાધિકારીઓનું મુખ્ય મહત્ત્વનું કામ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં એવી ગંભીર ચર્ચા પણ થઈ છે કે જો તપાસમાં ટ્રસ્ટના પદાધિકારીઓ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ સાબિત થશે, તો તેમની સામે પણ ગુનાહિત બેદરકારી બદલ કડક કાનૂની અને ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.









