Get The App

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર 1 - image

- રીઝર્વ બેન્કનો ફતવો : ક્રિમીનલોને હાશકારો

- સાયબર ફ્રોડના કિસ્સામાં ગ્રાહકે 15 ટકા, બેન્કે 15 ટકા નુકસાન સહન કરવું પડશે, આરબીઆઈ 70 ટકા રકમ આપશે

- રૂ. 85000 કરોડના ડીપોઝીટરી એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાંથી વળતર આપવા આરબીઆઈની દરખાસ્ત

- ગ્રાહકો એક જ વખતની ભૂલમાંથી બોધપાઠ શીખે, જીવનમાં એક જ વખત વળતર અપાશે : આરબીઆઈ

નવી દિલ્હી : વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધી રહેલા ડિજિટલ ઈન્ડિયામાં સાયબર ફ્રોડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. આવા સંજોગોમાં ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે સાયબર ફ્રોડમાં નાની રકમ ગુમાવનારા ગ્રાહકોને રાહત આપવાની તૈયારી કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, સાયબર ફ્રોડના કિસ્સામાં એવું ફ્રેમવર્ક તૈયાર કરવા તૈયારી કરાઈ છે, જેમાં ડિજિટલ ફ્રોડથી પીડિત ગ્રાહકને રૂ. ૨૫,૦૦૦ અથવા તેણે ગુમાવેલી રકમના ૮૫ ટકા રકમ વળતર સ્વરૂપે પરત મળશે. જોકે, ગ્રાહકને આ સુવિધા જીવનમાં માત્ર એક જ વખત અપાશે. આરબીઆઈ રૂ. ૮૫,૦૦૦ કરોડના ડીપોઝીટરી એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાંથી આ વળતર આપશે.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે કહ્યું કે, બેન્ક પેમેન્ટ સુરક્ષા વધારવા માટે એક ડિસ્કશન પેપર પ્રકાશિત કરવાની પણ વાત કરી હતી, જેમાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા અને સિનિયર સિટિઝન જેવી કેટલીક કેટેગરીના યુઝર માટે વધારાના ઓથેન્ટિકેશનનો સમાવેશ થઈ શકે છે. આરબીઆઈએ પહેલી વખત સાયબર ફ્રોડના કિસ્સામાં ગ્રાહકોને વળતર આપવાની પહેલ કરી છે.

સંજય મલ્હોત્રાએ કહ્યું કે, ગ્રાહકે સાયબર ગુનેગારોને વન-ટાઈમ પાસવર્ડ આપ્યા પછી નાણાં ગુમાવ્યા હશે તો પણ ગ્રાહક આ વળતર મેળવી શકશે. આ નાણાં રૂ. ૮૫,૦૦૦ કરોડના ડીપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાંથી ચૂકવાશે. આ વળતર ગ્રાહકને જીવનમાં માત્ર એક જ વખત મળશે અને સાયબર ફ્રોડનું આ ટ્રાન્ઝેક્શન બદઈરાદાપૂર્વકનું હોવું જોઈએ નહીં. અમે ઈચ્છીએ છીએ કે ગ્રાહકો એક જ વખતમાં તેમની ભૂલમાંથી બોધપાઠ શીખે અને ફરી આવી ભૂલ ના કરે. 

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, સાયબર છેતરપિંડીના કિસ્સામાં ગ્રાહકની ભૂલ હોય તો પણ તેને કોઈ સવાલ પૂછ્યા વિના તેણે ગુમાવેલી રકમના ૮૫ ટકા જેમાં મહત્તમ રકમ રૂ. ૨૫,૦૦૦ પાછી અપાશે. જોકે, આ વળતર રૂ. ૫૦,૦૦૦ અથવા તેનાથી ઓછી રકમના સાયબર ફ્રોડના કિસ્સામાં અપાશે. રૂ. ૫૦,૦૦૦થી વધુ મૂલ્યના સાયબર ફ્રોડના કિસ્સામાં પણ વળતર રૂ. ૨૫,૦૦૦ જેટલું જ ચૂકવાશે. 

આરબીઆઈએ જણાવ્યું કે, સાયબર છેતરપિંડીના કિસ્સામાં ૧૫ ટકા નુકસાન ગ્રાહકે ઉઠાવવું પડશે જ્યારે ૧૫ ટકા નુકસાન સંબંધિત બેન્ક ઉઠાવશે. બાકીના ૭૦ ટકા રકમ આરબીઆઈ આપશે. જોકે, કોઈપણ સ્થિતિમાં ગ્રાહકને રૂ. ૨૫,૦૦૦થી વધુ રકમનું વળતર નહીં મળે. 

આરબીઆઈ ગવર્નર મલ્હોત્રાએ કહ્યું કે, એકંદરે રૂ. ૨૫,૦૦૦ના વળતરની રકમ ઓછી છે, પરંતુ ડિજિટલ ફ્રોડમાં રૂ. ૫૦ હજાર સુધીની રકમવાળા કેસોનું પ્રમાણ ૬૫ ટકા જેટલું ઊંચું છે. વધુમાં આ ઓછી રકમના પગલે સાયબર ફ્રોડથી પીડિત વધુ લોકોને વળતરનો લાભ મળી શકશે. 

આરબીઆઈના ડેટા મુજબ ભારતીય બેન્કોએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કાર્ડ અને ઈન્ટરનેટ આધારિત ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી છેતરપિંડીના ૧૩,૪૫૯ કેસ નોંધાયા હતા, જેમાંથી ૫૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બીજીબાજુ ૨૦૨૩-૨૪માં ૨૯,૦૮૦ છેતરપિંડી અને ૧,૪૫૭ કરોડનું નુકસાન થયું હતું.

આરબીઆઈ ગ્રાહકોના રક્ષણ માટે ટૂંકમાં મુસદ્દો જાહેર કરશે

મુંબઈ : ગ્રાહકોના રક્ષણ માટે રિઝર્વ બેન્ક ત્રણ માર્દગર્શિકાના મુસદા જાહેર કરશે. જેમાં એક, ગેરરીતિ સાથેના વેચાણ સંબંધિત, બીજો મુસદ્દો, લોન્સની રિકવરી તથા રિકવરી એજન્ટસની સેવા લેવા બાબતે અને ત્રીજો ગેરકાયદે ઈલેકટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝકશન્સમાં ગ્રાહકોની જવાબદારી મર્યાદિત બનાવવા અંગેનો રહેશે. નીચા મૂલ્યના ગેરરીતિભર્યા વ્યવહારમાં થનારા નુકસાન સામે રૂપિયા ૨૫૦૦૦ સુધીનું વળતર ચૂકવવા નવા માળખાની રચના કરવાની દરખાસ્ત હોવાનું પણ મલ્હોત્રાએ જણાવ્યું હતું. દેશના બેન્કિંગ ક્ષેત્રમાં  અને પેમેન્ટસ વ્યવસ્થામાં ટેકનોલોજીના સ્વીકારમાં થઈ રહેલા ઝડપી વધારાને ધ્યાનમાં રાખી ૨૦૧૭માં જારી કરાયેલા સૂચનોની સમીક્ષા કરાશે. ગેરકાયદે ઈલેકટ્રોનિક બેન્કિંગ વ્યવહારમાં ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવા ૨૦૧૭માં વ્યાપક સૂચનો જારી કરાયા હતા. હવે  ગેરરીતિના કિસ્સામાં વળતર માટે માળખાની રચના સહિત નવા સુધારીત સૂચનોનો મુસદો ટૂંક સમયમાં જાહેર કરાશે અને તેના પર જાહેર જનતાના મત મેળવાશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.