India

વૉર્ડ બોયથી લઇને રાષ્ટ્રપતિ સુધીની 280 ચૂંટણી લડી ચૂકેલા બિહારના 'ધરતીપકડ' નું 97 વર્ષની વયે નિધન

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
પટણાની PMCH હોસ્પિટલમાં 97 વર્ષીય નાગરમલ બાજોરિયા ઉર્ફે 'ધરતીપકડ'નું નિધન થયું છે. તેમણે નગર નિગમથી રાષ્ટ્રપતિ પદ સુધીની 280 ચૂંટણીઓ લડીને રેકોર્ડ બનાવ્યો હતો. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજો સામે પણ તેઓ લડ્યા હતા. ભાગલપુરના બરારી ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વૉર્ડ બોયથી લઇને રાષ્ટ્રપતિ સુધીની 280 ચૂંટણી લડી ચૂકેલા બિહારના 'ધરતીપકડ' નું 97 વર્ષની વયે નિધન

Dhartipakad Passed Away: નગર નિગમના વોર્ડ મેમ્બરથી લઈને દેશના રાષ્ટ્રપતિ પદ સુધીની કુલ 280 ચૂંટણીઓ લડીને દેશભરમાં અનોખો રેકોર્ડ બનાવનારા નાગરમલ બાજોરિયા ઉર્ફે 'ધરતીપકડ'નું 97 વર્ષની વયે નિધન થયું છે. બિહારના પટણાની PMCH હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે મોડી રાત્રે ભાગલપુરના પવિત્ર બરારી ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રાજકીય દિગ્ગજો સામે લડ્યા ચૂંટણી

નાગરમલ બાજોરિયાએ દેશના અનેક રાજકીય દિગ્ગજો સામે ઉમેદવારી નોંધાવીને ભારે ચર્ચા જગાવી હતી. તેમણે રાયબરેલીથી ઈન્દિરા ગાંધી, અમેઠીથી રાજીવ ગાંધી ઉપરાંત સંજય ગાંધી, અટલ બિહારી વાજપેયી અને એલ.કે.અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ સામે ચૂંટણી લડી હતી.

વર્ષ 1969 માં તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ઉમેદવાર વી.વી. ગિરી સામે અને 2012 માં પ્રણવ મુખર્જી સામે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જોકે 2012 માં તેમનું ફોર્મ રદ થયું હતું. તેમણે પોતાની છેલ્લી ચૂંટણી 2019 માં લડી હતી.

પાકિસ્તાનના લાહોરમાં જન્મ, વેપાર અને સમાજસેવા

નાગરમલ બાજોરિયાનો જન્મ 1930 માં અવિભાજિત પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. ભારતની આઝાદી પહેલા જ તેમનો પરિવાર ભાગલપુરમાં આવીને વસી ગયો હતો. તેમણે જીવનભર મણિહારી (કાચની બંગડીઓ અને શણગારની સામગ્રી)નો વેપાર કર્યો હતો. વેપારની સાથે તેઓ કન્યા વિવાહ, ગરીબ મહિલાઓની સેવા અને બાળકોના શિક્ષણ જેવા સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહ્યા હતા.

ચૂંટણી પ્રચારની અનોખી શૈલી

'ધરતીપકડ' પોતાની અનોખી પ્રચાર શૈલી માટે જાણીતા હતા. વર્ષ 2005 ની એક ચૂંટણી દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવવા માટે ગધેડાઓના ગળામાં રાજકીય ટિપ્પણીઓ વાળા પાટિયા લટકાવીને નામોનિર્દેશન રેલી કાઢી હતી, જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના માટે ચૂંટણી એ માત્ર જીત કે હારનું માધ્યમ નહીં, પરંતુ લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવાનો એક માર્ગ હતો.

પરિવાર અને શોક સંદેશ

તેમના પરિવારમાં 4 પુત્રો અને 1 પુત્રી છે, જેમાંથી એક પુત્રનું અગાઉ નિધન થઈ ચૂક્યું છે. અન્ય પુત્રો ભાગલપુર, પટના અને દિલ્હીમાં વેપાર સાથે જોડાયેલા છે. તેમના નિધન પર ભાગલપુરના ધારાસભ્ય રોહિત પાંડે, ભાજપના પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રીતિ શેખર સહિતના અગ્રણીઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી તેમના જીવનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.