Get The App

દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો!

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! 1 - image

Fire in Delhi's Malviya Nagar Restaurant: દિલ્હીના માલવીય નગરના હૌઝ રાની વિસ્તારમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 'ફ્લોરિશ સ્ટે' હોટલમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત થયા છે. આ હોટલ પાંચ માળની બિલ્ડિંગમાં આવેલી છે અને સવારના આશરે 8:50 વાગ્યે તેની બેઝમેન્ટમાં આવેલા 'લેમન ગ્રીન' રેસ્ટોરન્ટમાંથી આગ શરૂ થઈ હતી. મૃતકોમાં મોટાભાગના વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. 

ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે

ફાયર વિભાગને સવારે લગભગ 9:00 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં તરત જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પ્રતિભાવ તરીકે બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઇટિંગ યુનિટ્સને તૈનાત કરવામાં આવ્યા હતા.

દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! 2 - image

મૃત્યુઆંક વધીને 21 પહોંચ્યો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી 

શરૂઆતમાં એવી માહિતી મળી હતી કે ફાયર ફાઇટર્સ દ્વારા બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 21 પર પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રસોઇયાનો દાવો- ઈલેક્ટ્રિક સ્ટવના કારણે આગ ફેલાઈ 

હોટલના રેસ્ટોરન્ટમાં કામ કરતાં રસોઈયા કેસર સિંહના જણાવ્યા અનુસાર, સવારે આશરે 8:00 વાગ્યે તેમણે ઈલેક્ટ્રિક સ્ટવ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં જ આગ આખી હોટલમાં ફેલાઈ ગઈ. તેમણે જણાવ્યું કે, મેં તરત જ મારા આસિસ્ટન્ટને જાણ કરી અને હોટલની બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો.

આગનું કારણ હજુ અસ્પષ્ટ

હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરશે કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના સર્જાઈ હતી.

37 લોકોને બેઝમેન્ટમાંથી રેસ્ક્યૂ કરાયા 

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં ફસાયેલા 37 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અમે તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરી હતી: ધારાસભ્યનો દાવો

માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, જિલ્લા મેજિસ્ટ્રેટ, SHO, SDM અને MCDના ડેપ્યુટી કમિશનરને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સાઉથ દિલ્હીના SDM, DDMA જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે, માહિતી મળતાંની સાથે જ અમે અમારી DDMA સેલને સક્રિય કરી હતી. પ્રાથમિક તપાસમાં આગ રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હોવાનું જણાય છે, પરંતુ અત્યારે સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી.