1 જુલાઈથી આ વાહનોને પેટ્રોલ-ડીઝલ કે CNG નહીં મળે, દિલ્હી સરકારે કરી મોટી જાહેરાત
No Fuel For Old Vehicles: 1 જુલાઈથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ અને CNG વાહનોને ઈંધણ મળશે નહીં. પેટ્રોલ પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવશે અને ઉલ્લંઘન પર કાર્યવાહી કરવામાં આવશે. વાયુ પ્રદૂષણ અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.
1 જુલાઈથી આ વાહનોને નહીં મળે ઇંધણ
દિલ્હી સરકારે 1 જુલાઈથી એન્ડ-ઓફ-લાઇફ (EOL) વાહનોને ધ્યાનમાં રાખીને કડક અમલીકરણ નીતિની જાહેરાત કરી છે. આ નવા નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે, સરકારે સત્તાવાર રીતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કર્યા છે. જેમાં ઇંધણ સ્ટેશનો અને અમલીકરણ અધિકારીઓ માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
શું છે નિયમ?
આ નવા નિયમ અંતર્ગત 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને CNG વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને એન્ડ-ઓફ-લાઇફ વાહનો તરીકે ઓળખવામાં આવશે એટલે કે આ વાહનોનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું માનવામાં આવશે.
આ વાહનોને દિલ્હીના પંપ પર સ્થાપિત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવશે. આ અંગે સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દિલ્હીના કોઈપણ પંપ પર આ વાહનોને કોઈપણ અપવાદ વિના ઇંધણ (પેટ્રોલ, ડીઝલ અથવા CNG) આપવાનો ઇનકાર કરવો ફરજિયાત છે.
ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમથી થશે વાહનોની ઓળખ
આ વાહનોને સરળતાથી ઓળખવા માટે, તમામ પેટ્રોલ પંપ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જે કેમેરાની મદદથી વાહનની નંબર પ્લેટ પર નજર રાખશે. આવા વાહનોની ઓળખ થતાં જ સ્થળ પર હાજર ઇંધણ પંપ એટેન્ડન્ટ વાહન માલિકને ઇંધણ આપવાનો ઇનકાર કરશે.
આ સાથે જ આ નવા નિયમ અંગે જાણકારી આપવા માટે ઓપરેટરોને પંપ પર આ પ્રતિબંધ વિષે ચેતવણી આપતા તમામ ચિહ્નો મુખ્ય રીતે પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની પુત્રીનું કાર નીચે કચડાતાં મોત, મેરઠની હચમચાવતી ઘટના
જો નિયમનું પાલન નહીં થાય તો થશે કડક કાર્યવાહી
પરિવહન વિભાગ અન્ય અમલીકરણ એજન્સીઓ સાથે આ SOPs ના પાલન પર સતર્કતાથી દેખરેખ રાખશે. જો નિયમોનું પાલન નહીં થાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીના ભાગરૂપે જો આવા વાહન મળી આવે છે તો તે વાહન જપ્ત પણ થઈ શકે છે.
આ ઉપરાંત જો પેટ્રોલ પંપ માલિકો આ નિયમોનો અમલા કરવામાં નિષ્ફળ જાય છે અથવા માર્ગદર્શિકાનું પાલન કરવાનો ઇનકાર કરે છે તેમને મોટર વાહન એક્ટ, 1988 હેઠળ દંડ આપવામાં આવશે.
આ નિયમ શા માટે લાગુ કરવામાં આવ્યો?
આ નિયમને અમલમાં લાવીને રાજ્ય સરકાર રસ્તાઓ પરથી જૂના અને વધુ પ્રદૂષિત વાહનોને દૂર કરીને દિલ્હીમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માંગે છે. આ કડક નિયમો લાગુ કરીને, દિલ્હી સરકાર સ્વચ્છ હવાને પ્રોત્સાહન આપવાની અને આરોગ્ય ધોરણોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહી છે.