'દિવાળી પહેલા ખાડામુક્ત શહેર' ના ટારગેટ સાથે રસ્તા પર ઊતર્યા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi CM Atishi inspects roads: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા રસ્તાઓના સમારકામ અંગે મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો હતો. જેને લઈને સીએમ આતિષીના નેતૃત્ત્વમાં આખું કેબિનેટ આજે (30મી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સ્થાનિક ધારાસભ્યો અને PWD અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા છે.
કેબિનેટ આઠ દિવસ સુધી રસ્તાઓનું નિરીક્ષણ કરીને રિપોર્ટ સોંપશે, ત્યારપછી આવતા અઠવાડિયાથી રસ્તા બનાવવાનું કામ શરૂ થશે. મુખ્યમંત્રીએ ઓક્ટોબરમાં સમગ્ર દિલ્હીના રસ્તાઓનું સમારકામ કરવાનો દાવો કર્યો છે. સીએમ આતિશીએ દક્ષિણ અને દક્ષિણ પૂર્વમાં, ગોપાલ રાય ઉત્તર પૂર્વમાં, કૈલાશ ગેહલોત પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં, ઇમરાન હુસૈન મધ્ય અને નવી દિલ્હીમાં, સૌરભ ભારદ્વાજ પૂર્વમાં અને મુકેશ અહલાવતે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ગ્રાઉન્ડ ઝીરો પર આખું કેબિનેટ
દક્ષિણ દિલ્હીમાં નિરીક્ષણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, 'દિલ્હીમાં જાહેર બાંધકામ વિભાગના તમામ રસ્તાઓને ખાડામુક્ત બનાવવા માટે દિલ્હી સરકારની આખી કેબિનેટ આજે સવારે 6 વાગ્યાથી ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી રહી છે અને રસ્તાઓનું નિરીક્ષણ કરી રહી છે.'
મનીષ સિસોદિયાએ પણ રસ્તાઓનું પણ નિરીક્ષણ કર્યું
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે સવારે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ સાથે તેમના વિસ્તારના તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર આજે સવારે પૂર્વ દિલ્હીમાં મધર ડેરીની સામેના રસ્તાનું નિરીક્ષણ કર્યું. મધર ડેરી સામેના રોડની હાલત ખરાબ છે. અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. હવે આગામી દિવસોમાં તેને ખાડામુક્ત કરી દેવામાં આવશે.'




