ખેડૂતોની 'ચલો દિલ્હી' કૂચ બાદ શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી, ટીયરગેસનો મારો ચલાવાયો, ઈન્ટરનેટ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Border Security: પંજાબના ખેડૂતોની 'દિલ્હી ચલો' માર્ચ પહેલાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે દિલ્હીની તમામ સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. 101 ખેડૂતોનું જૂથ બપોરે 1 વાગ્યાથી દિલ્હી જવા માટે નીકળી ગયું છે. ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સીમા અને મધ્ય દિલ્હીમાં તપાસ માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂત માર્ચના કારણે દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને શહેરની સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. સિંધુ બોર્ડર પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવાયા છે. તેમજ, પંજાબ-હરિયાણા સીમા પર શંભુ બોર્ડરની સ્થિતિ અનુસાર આ સુરક્ષા દળોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. જોકે, ખેડૂતો આગળ વધતાં જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતાં.
ખેડૂતો જેવા જ આગળ વધ્યાં તો મામલો બીચક્યો
શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતાં જ મામલો બીચક્યો હતો. તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા. આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટીયરગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.
હરિયાણાના મંત્રી અનિલ વિજ ભડક્યાં
ખેડૂતોના દેખાવો પર ટિપ્પણી કરતાં હરિયાણાના મંત્રી અનિલ વિજે સવાલ કર્યો કે શું ખેડૂતોએ મંજૂરી લીધી હતી? તેમને મંજૂરી વિના દિલ્હી કેવી રીતે જવા દઈએ? જો મંજૂરી મળશે તો જ તેમને દિલ્હી જવા દેવાશે.
અંબાલામાં BNSSની કલમ 163 લાગૂ
અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ નોઇડા સીમા પર નજર રાખી રહી છે, જ્યાં ઉત્તર પ્રદેશના ખેડૂતોનું અન્ય એક સમૂહ ધરણા પર બેઠું છે. અંબાલામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની ધારા 163 હેઠળ (IPC ની કલમ 144) હેઠળ પ્રતિબંધિત આદેશ હોવા છતાં, 100થી વધારે ખેડૂતો શુક્રવારે શંભુ સરહદથી દિલ્હી પગપાળા કૂચ શરૂ કરવા માટે તૈયાર છે. જેમાં પાંચથી વધારે વ્યક્તિઓની કોઈપણ ગેરકાયદેસર સભાને પ્રતિબંધિત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હવે દિલ્હીની જામા મસ્જિદના પગથિયા ખોદવાની માગ ઊઠી, પુસ્તકને બનાવ્યો આધાર
ઇન્ટરનેટ સર્વિસ બંધ
અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આી છે. અંબાલામાં DC એ પોતાના આદેશ સુધી પગપાળા, ગાડી અથવા બીજા માધ્યમથી કોઈપણ સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન, ખેડૂત આંદોલનના કારણે સત્તાવાર આદેશ બાદ આજે અંબાલામાં તમામ સરકારી પ્રાઇવેટ સ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી છે.
આ પહેલાં ગુરૂવારે પંજાબના DIG (પટિયાલા રેન્જ) મંદીપ સિંહ સિદ્ધુ અને SSP (પટિયાલા) નાનક સિંહે શંભુ બોર્ડર પર પંઢેર અને સુરજીત સિંહ ફુલ સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ કહ્યું કે, ખેડૂતોએ પોલીસને આશ્વાસન આપ્યું છે કે, તેઓ શાંતિ જાળવી રાખે અને માર્ચમાં ટ્રેક્ટર-ટ્રોલીઓ સામેલ નહીં કરે.
ખેડૂત નેતાઓએ પહેલાં જાહેરાત કરી હતી કે, ખેડૂતોએ પહેલાં સમૂહનું નેતૃત્તવ સતનામ સિંહ પન્નૂ, સુરિંદર સિંહ ચૌટાલા, સુરજીત સિંહ ફૂલ અને બલજિંદર સિંહ કરશે. આ દરમિયાન, સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીત સિંહ દલ્લાવેલા ગુરૂવારે ખનૌરી બોર્ડર પર પોતાનું આમરણ ઉપવાસ શરૂ રાખ્યાં છે.
સિંધુ બોર્ડર પર કડક સુરક્ષા
દિલ્હી તરફ માર્ચ કરી રહેલાં ખેડૂતોને રોકવા માટે સિંધુ બોર્ડર પર વૉટર કેનન અને કોંક્રીટના બેરિકેટ લગવવામાં આવ્યા છે. હરિયાણા બોર્ડર પર મલ્ટી લેયર બેરિકેડિંગની સાથે કેન્દ્રીય અર્ધસૈનિક દળ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
નેશનલ હાઈવે-44 પર શંભુ બોર્ડર- રાજપુરા (પંજાબ)-અંબાલા (હરિયાણા)- પર પહેલાંથી જ મલ્ટી લેયર બેરિકેડિંગ કરવામાં આવી છે. જોકે, ડ્યુટી પર તૈનાત પોલીસ અને અન્ય લોકો સેવકોને પ્રતિબંધોથી છૂટ આપવામાં આવશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, તે સિંધુ બોર્ડર પર કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.




