- દિલ્હી-ચેન્નાઇનું અંતર 320 કિમી ઘટી જશે
- આ હાઇવેનાં નિર્માણ પછી દિલ્હી અને મુંબઇ વચ્ચે યાત્રાનો સમય ઘટીને 12 કલાકથી ઓછો થઇ જશે
નવી દિલ્હી : સરકારે સૂરત અને કુરનુલની વચ્ચે એક નવું ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય લીધો છે તેમ ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ નિર્ણયને કારણે દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેનું અંતર ૩૨૦ કિમી ઘટી જશે.
પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ હાઇવેનાં નિર્માણ પછી દિલ્હી અને મુંબઇ વચ્ચે યાત્રાનો સમય ઘટીને ૧૨ કલાકથી ઓછો થઇ જશે.
ગડકરીએ જણાવ્યું હતું કે હવે અમે મુંબઇથી દિલ્હી સુધી એક્સપ્રેસ હાઇવે બનાવવાનો એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ હાઇવેનું કામ અગાઉથી જ ૭૦ થી ૮૦ ટકા પૂર્ણ થઇ ગયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરત પછી અમે એક નવું ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવી રહ્યાં છીએ જે સુરતથી નાસિક, અહમદનગર, શોલાપુર અને કુરનુલ સુધી જશે. ત્યારબાદ ત્યાંથી તે ચેન્નાઇ, કન્યાકુમારી, બેંગાલુરુ, હૈદરાબાદ અને કોચીનથી જોડાશે. પ્રધાને જણાવ્યું હતું કે આ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત માટે એક નવી કનેક્ટિવિટી છે. ગડકરીએ જણાવ્યું હતું કે આ હાઇવેને કારણે દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેનું અંતર ૩૨૦ કિમી ઘટી જશે. જેના કારણે ખર્ચ પણ ઓછો થશે અને હાઇવેને કારણે સમય પણ ઓછો લાગશે. આ ઉપરાંત દિલ્હી અને મુંબઇ વચ્ચે યાત્રાનો સમય ઘટીને ૧૨ કલાકથી ઓછો થઇ જશે.


