Get The App

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ 1 - image

CUET UG 2026 Exam Controversy : તાજેતરમાં જ CBSEની NEET UG-2026 પરીક્ષામાં પેપર લીક થવાના મામલે ભારે હોબાળો થયો હતો, ત્યારે હવે દેશની બીજી સૌથી મોટી પરીક્ષા CUET-UG-2026 ગેરવ્યવસ્થા અને ટેકનિકલ ખામીઓનો શિકાર બની છે. ત્યારપછી NTA અને પરીક્ષા માટે ટેકનિકલ સેવા આપતી કંપનીએ ભૂલ સ્વિકારીને પ્રભાવિત ઉમેદવારોની માફી માંગી છે. આ સાથે જે ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી, તેઓ માટે રી-એક્ઝામની પણ જાહેરાત કરવામાં આવી છે.

પરીક્ષા સમયસર શરૂ ન થઈ : NTAએ માફી માંગી

30 મેના રોજ યોજાયેલી આ ડિજિટલ પરીક્ષા દરમિયાન દેશભરના અનેક કેન્દ્રો પર ‘સેન્ટ્રલ સિસ્ટમ કમ્પોનન્ટ’માં ખામી સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સિસ્ટમ ખોરવાઈ જવાના કારણે પરીક્ષા સમયસર શરૂ થઈ શકી ન હતી, જેની સૌથી વધુ અસર બીજી શિફ્ટના વિદ્યાર્થીઓ પર પડી છે. પરીક્ષાર્થીઓને કેન્દ્રોની અંદર અને બહાર કલાકો સુધી રાહ જોવી પડી હતી, જેનાથી પરીક્ષાર્થીઓ ભારે માનસિક તણાવમાં મુકાયા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વિવાદ સ્વીકારીને વિદ્યાર્થીઓની માફી માંગી છે.

આ પણ વાંચો : VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો... કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો જીવ

પરીક્ષા માટે ટેકનિકલ સેવા આપતી કંપનીએ ભૂલ સ્વિકારી

આ પરીક્ષા માટે ટેકનિકલ સેવાઓ પૂરી પાડતી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS iON) એ પણ સાર્વજનિક રીતે પોતાની ભૂલ સ્વીકારી છે. કંપનીએ જણાવ્યું કે, બેકએન્ડ પર ટેકનિકલ ટીમોએ પરીક્ષા અધિકારીઓ સાથે મળીને આ સમસ્યા ઉકેલી હતી અને સિસ્ટમ ફરી શરૂ કરી દેવાઈ હતી. કંપનીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પડેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ 2 - image

ખામીથી કંટાળેલા 3765 વિદ્યાર્થી પરત જતા રહ્યા

સિસ્ટમ સરખી થયા બાદ લગભગ 95% વિદ્યાર્થીઓએ કોઈક રીતે પરીક્ષા પૂરી કરી લીધી હતી. જો કે, 3,765 વિદ્યાર્થીઓ એવા હતા, જેમણે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવી લીધું હોવા છતાં, લાંબો સમય રાહ જોવાના કારણે કંટાળીને પરીક્ષા કેન્દ્ર છોડી દીધું હતું.

પ્રભાવિત 3,765 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા

NTA દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ પ્રભાવિત 3,765 ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરીને ફરીથી પરીક્ષા યોજવામાં આવશે. આ ઉપરાંત, જે કેન્દ્રો પર પરીક્ષા મોડી શરૂ થઈ હતી અને વિદ્યાર્થીઓ ત્યાં જ રોકાયા હતા, તેમને નુકસાનથી બચાવવા માટે પરીક્ષામાં વધારાનો સમય (Compensatory Time) પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત