'કોકરોચ જનતા પાર્ટીનું ઈન્સ્ટા પેજ બ્લૉક કરનારા ડરપોક...' સ્વતંત્રતા દિવસે ભડક્યો અભિજિત દીપકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP and INSTA Page news : કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજને બ્લોક કરી દેવામાં આવ્યું છે. CJP ના સ્થાપક અભિજિત દીપકેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક પોસ્ટ અને તસવીર શેર કરીને અભિજિત દીપકે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને પેજ હટાવનારાઓને 'ડરપોક' ગણાવ્યા છે.
સ્વતંત્રતા દિવસની સવારે જ તેમણે ટ્વિટર પર લખ્યું કે પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ડાઉન થઈ ગયું છે. તેમણે સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, "તેમણે 'કોકરોચ જનતા પાર્ટી'નું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હટાવી દીધું. કેટલા મોટા ડરપોક છે!"
સ્વતંત્રતા દિવસ પર શું કહ્યું?
આ ઘટના પહેલાં અભિજિત દીપકેએ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવા માટે એક ખાસ તસવીર પસંદ કરી હતી. તેમણે NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેમણે લખ્યું હતું કે, "સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આ તસવીર આપણા માટે એક રિમાઇન્ડર છે કે આપણે હજુ પણ ખૂબ લાંબો અગ્નિપથ કાપવાનો બાકી છે."
CJI સૂર્યકાંતના નિવેદન બાદ બનાવ્યું હતું પેજ
ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક નિવેદન સામે વિરોધ નોંધાવવા માટે અભિજિત દીપકેએ 'કોકરોચ જનતા પાર્ટી'નું સોશિયલ મીડિયા પેજ શરૂ કર્યું હતું. ટૂંક જ સમયમાં X અને ઇન્સ્ટાગ્રામ પર CJP ને ભારે લોકપ્રિયતા મળી હતી અને લાખો લોકો તેના પેજ સાથે જોડાયા હતા. ત્યારબાદ અભિજિત દીપકે અમેરિકાથી ભારત પરત ફર્યા હતા અને CJP ના બેનર હેઠળ NEET પેપર લીક સામે આંદોલન શરૂ કર્યું હતું.
CJP શરૂ કરશે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન
CJP ના આહ્વાન પર હજારો વિદ્યાર્થીઓ અને લોકોએ જંતર-મંતર પર ધરણાં આપ્યા હતા. આ આંદોલન બાદ હવે અભિજિત દીપકે દેશમાં શિક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ જ કડીમાં CJP સ્વતંત્રતા દિવસના પર્વે અભિજિત દીપકેના મહારાષ્ટ્ર સ્થિત હિંગોળી જિલ્લાના ગામથી ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનની શરૂઆત કરશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગ્રામીણ સરકારી શાળાઓના માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માં સુધારો લાવવાનો અને જવાબદેહી નક્કી કરવાનો છે.
દિલ્હીથી પરત ફર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં દીપકેએ જણાવ્યું હતું કે, "હું મારા ગામથી 'સ્કૂલ ઠીક કરો' અભિયાન શરૂ કરીશ અને ત્યાંના સરપંચને સ્થાનિક સરકારી શાળાઓનું સમારકામ કરવા તથા શાળાઓમાં બેન્ચ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા વિનંતી કરીશ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, CJP એ એવી ઘણી ટીમો બનાવી છે જે ગામડાઓમાં જઈને લોકો અને સરપંચોના સહયોગથી શાળાઓની સ્થિતિ સુધારવાની દિશામાં કામ કરશે.









