Cockroach Janta Party X Account Banned : દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અસ્તિત્વમાં આવેલી 'કોકરોચ જનતા પાર્ટી'નું સત્તાવાર એક્સ (X - પૂર્વ ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત (Ban) કરી દેવામાં આવ્યું છે. જોકે તેના કલાક બાદ કોકરોચ ઇઝ બેક નામે નવું એકાઉન્ટ બનાવી દેવામાં આવ્યું હતું.
નવું એકાઉન્ટ બનાવાયું
એક્સ પર જૂનું કોકરોચ જનતા પાર્ટી નામે ચાલતું એકાઉન્ટ બ્લૉક થયા બાદ હવે નવું એકાઉન્ટ કોકરોચ ઈઝ બેક નામે બનાવાયું છે. તેના પર એક પોસ્ટમાં તેમનું જૂનું એકાઉન્ટ બંધ કરવા પાછળનું કારણ જણાવતા ભાજપ પર આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે ભાજપ કરતાં અમારા ફોલોઅર્સ ચાર જ દિવસમાં વધી જતાં અમારી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનું X એકાઉન્ટ બેન, ઇન્સ્ટાગ્રામ પેજ હજુ કાર્યરત
દેશના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો પર કરવામાં આવેલી એક ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી'નું સત્તાવાર એક્સ (X) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુરુવારે જ આ પેજે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) ને પાછળ છોડી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ પેજના 1 કરોડ(10 Million)થી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે, જ્યારે ભાજપના 87 લાખ ફોલોઅર્સ છે. જો કે, એક્સ એકાઉન્ટ બંધ થયા બાદ પણ આ પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ ઓનલાઇન દેખાઈ રહ્યું છે.
ફાઉન્ડર અભિજિત દીપકે સરકાર સામે ઉઠાવ્યા સવાલ
એકાઉન્ટ બંધ થવાના પગલે આ પેજના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજિત દીપકે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું કે, "જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેમાં નિષ્ફળ રહ્યા ત્યારે ભારતની અંદર અમારું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ બેન કરી દીધું. અમે માત્ર સરકાર પાસે જવાબદારી (Accountability) માંગી રહ્યા હતા, કોઈ ખોટી વસ્તુ લખી નહોતી. બદલામાં અમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવાયું. આ ક્યાંની લોકશાહી છે?" તેમણે દેશના યુવાનોને આ ડિજિટલ સેન્સરશિપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે.
શું હતો સમગ્ર વિવાદ અને CJIનું નિવેદન?
આ વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન થઈ હતી. સુનાવણી દરમિયાન સીજેઆઇ(CJI) સૂર્યકાંતે કથિત રીતે કહ્યું હતું કે, "કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે કે ન તો કોઈ વ્યવસાયમાં સ્થાન મળે છે. તેમાંથી કેટલાક મીડિયા ક્ષેત્રે જાય છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે કે આરટીઆઇ (RTI) એક્ટિવિસ્ટ બને છે અને પછી દરેક સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે."
CJIના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, વિવાદ વધતાં જસ્ટિસ સૂર્યકાંતે બીજા જ દિવસે સ્પષ્ટતા જારી કરીને કહ્યું હતું કે, તેમનો ઇશારો માત્ર 'નકલી ડિગ્રી ધારકો' તરફ હતો અને તેમનો ઇરાદો દેશના સાચા યુવાનોની લાગણી દુભાવવાનો નહોતો. પરંતુ, આ વિરોધના પ્રતીક રૂપે શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી' સોશિયલ મીડિયા પર એક મોટું જન-આંદોલન બની ગઈ હતી, જેના પર હવે કાનૂની કે ટેકનિકલ તવાઈ આવી છે.


