'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના નિર્ણય વિના બેઠકનો કોઈ અર્થ નથી’, CJP પ્રવક્તાનું અલ્ટીમેટમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP Ashutosh Ranka Statement : કેન્દ્ર સરકાર સાથે થયેલી બેઠક બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP)એ સ્પષ્ટ કર્યું છે કે તેમની સૌથી મોટી માંગ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, ‘વળતર અને કાનૂની મુદ્દા પર સરકાર તરફથી સકારાત્મક વલણ જોવા મળ્યું છે, પરંતુ રાજીનામાના મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી.’
'રાજીનામા પર નિર્ણય નહીં તો બેઠકનો અર્થ નથી'
CJPના પ્રવક્તાએ જણાવ્યું કે જો સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર સ્પષ્ટ જવાબ નહીં આપે તો આવી બેઠકોનો કોઈ અર્થ રહેતો નથી. તેમણે ચેતવણી આપી કે સરકારનું વર્તમાન વલણ યથાવત રહેશે તો પાર્ટી આંદોલન વધુ તેજ કરવાની દિશામાં આગળ વધશે.
NTA અધિકારીઓને હટાવવાનો નિર્ણય પૂરતો નથી
સરકારે 47 NTA અધિકારીઓને હટાવવાના નિર્ણય પર પણ આશુતોષ રાંકાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણયના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે, પરંતુ તેનાથી મૂળ પ્રશ્નનો અંત આવતો નથી. તેમના મતે NEET પેપર લીક અને ત્યારબાદ વિદ્યાર્થીઓની કથિત આત્મહત્યાના બનાવોની અંતિમ જવાબદારી શિક્ષણ મંત્રાલયની છે.
'શિક્ષણ પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ'
આશુતોષ રાંકાએ કહ્યું કે પાર્ટીનું માનવું છે કે આ સમગ્ર મામલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની નૈતિક તેમજ વહીવટી જવાબદારી બને છે અને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. સાથે જ તેમણે જણાવ્યું કે પાર્ટી માત્ર રાજીનામાની માંગ જ નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની પણ માંગ કરી રહી છે.
સરકારને સોંપ્યું માંગપત્ર
બેઠક દરમિયાન CJPએ પોતાની વિવિધ માંગોનો વિગતવાર ચાર્ટર પણ સરકારને સોંપ્યો છે. પાર્ટીનું કહેવું છે કે હવે સરકારના આગામી નિર્ણય પર જ આંદોલનની આગામી રણનીતિ નક્કી થશે.









