India

ચીનને લાગશે મોટો ઝટકો, ભારતીય રેલવેના નક્શામાં ભુતાન પણ જોડાશે, 3500 કરોડ ખર્ચાશે

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે ભુતાન સાથે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા 57.5 કિલોમીટર લાંબી કોકરાઝાર-ગેલેફુ રેલવે લાઇનને 'સ્પેશિયલ રેલ પ્રોજેક્ટ'નો દરજ્જો આપ્યો છે. આશરે ₹3,500 કરોડના ખર્ચે બનનારી આ લાઇન 2029 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટથી વેપાર, પ્રવાસન અને સરહદી સુરક્ષા મજબૂત બનશે, તેમજ ભુતાન સીધું ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનને લાગશે મોટો ઝટકો, ભારતીય રેલવેના નક્શામાં ભુતાન પણ જોડાશે, 3500 કરોડ ખર્ચાશે

India-Bhutan Train Project: ભારત અને ભુતાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંને દેશોને જોડતી આશરે 57.5 કિલોમીટર લાંબી કોકરાઝાર-ગેલેફુ રેલવે લાઇનના નિર્માણ માટે સરકારે આશરે 3,500 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ નક્કી કર્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટને 'સ્પેશિયલ રેલ પ્રોજેક્ટ' (વિશેષ રેલવે પ્રોજેક્ટ)નો દરજ્જો આપ્યો છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ભુતાન સીધું ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે.

2029 સુધીમાં ભુતાન સુધી ટ્રેન સેવા પહોંચી શકે છે

ભારત સરકાર પૂર્વોત્તર ક્ષેત્ર અને પડોશી દેશો સાથે વ્યૂહાત્મક રીતે રેલ કનેક્ટિવિટી મજબૂત બનાવી રહી છે. સિક્કિમને ભારતીય રેલ નેટવર્ક સાથે જોડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે, સાથે જ રેલવે લાઇન ભુતાન સુધી લંબાવવામાં આવી રહી છે. યોજના અનુસાર, વર્ષ 2027 સુધીમાં સિક્કિમમાં અને વર્ષ 2029 સુધીમાં ભુતાનમાં ટ્રેન સેવાઓ શરૂ કરવાનો અંદાજ છે.

કોકરાઝાર-ગેલેફુ રેલવે લાઇનને 'સ્પેશિયલ રેલ પ્રોજેક્ટ'નો દરજ્જો મળવાથી જમીન સંપાદન, જંગલ અને પર્યાવરણીય મંજૂરીઓ તેમજ અન્ય વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનશે. આ રેલવે ભારત અને ભુતાન વચ્ચે વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સુદ્રઢ બનાવશે. આ ઉપરાંત, ભુતાનના મહાત્વાકાંક્ષી 'ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી' પ્રોજેક્ટને પણ ભારતીય રેલ નેટવર્ક સાથે સીધું જોડાણ મળશે.

સરહદ સુરક્ષા લાભો

આ પ્રોજેક્ટનું મહત્વ માત્ર સામાન્ય પ્રવાસ અને માલ-સામાનના પરિવહન પૂરતું મર્યાદિત નથી. ભારત-ભુતાન સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટી સુધરવાથી લશ્કરી લોજિસ્ટિક્સ અને સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. હાલમાં ખરાબ હવામાન, ભૂસ્ખલન અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે માર્ગ વાહનવ્યવહાર પ્રભાવિત થાય છે. રેલ નેટવર્ક પૂર્ણ થતાં જવાનો, આવશ્યક પુરવઠા અને સુરક્ષા સાધનોની હિલચાલ પહેલા કરતાં વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

સિક્કિમમાં રેલ પ્રોજેક્ટ પર કામ

સિક્કિમને બ્રોડ-ગેજ રેલ નેટવર્ક સાથે જોડતો 44.96 કિલોમીટર લાંબો 'સેવોક-રંગપો' રેલ પ્રોજેક્ટ પણ બાંધકામના અંતિમ તબક્કામાં છે. આ રેલવે લાઇનનો મોટો ભાગ ટનલમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા 'તિસ્તા બજાર' રેલવે સ્ટેશન છે, જે પહાડની અંદર ટનલમાં બનાવવામાં આવી રહ્યું છે. તે દેશનું પ્રથમ સંપૂર્ણ ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) બ્રોડ-ગેજ રેલવે સ્ટેશન બનશે. આશરે 12,450 કરોડ રૂપિયાના સુધારિત ખર્ચે નિર્માણધીન આ પ્રોજેક્ટમાં સુરક્ષા તપાસ પૂર્ણ કરીને ડિસેમ્બર 2027 સુધીમાં ટ્રેન વ્યવહાર શરૂ કરવાનો લક્ષ્યાંક છે. આ બંને રેલ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી પૂર્વોત્તર ભારતની સરહદી સજ્જતા, પ્રાદેશિક વેપાર અને વ્યૂહાત્મક ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે.