પેટ્રોલ-ડીઝલ બચાવવા સરકાર પગલાં લેશે
નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક તંગદિલી લાંબો સમય ચાલશે તેવા સંકેતોના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, લોકોને વર્ક ફ્રોમ હોમની પણ અપીલ કરી છે. હવે સરકારે મંત્રીઓના કાફલા તેમજ મંત્રીઓ અને અધિકારીઓના પ્રવાસો પર પ્રતિબંધ લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. સરકાર આ પ્રકારના પ્રતિબંધોથી જનતા સામે ઉદાહરણ પૂરું પાડવા માગે છે. આ સિવાય સરકાર કાર-પુલિંગને પ્રોત્સાહન, વાહનોના બિનજરૂરી ઉપયોગ બંધ કરવા અંગે પણ વિચારણા કરી રહી છે. સેમિનાર અને કોન્ફરન્સને વીડિયો કોન્ફરન્સ મોડ પર લઈ જવા પર પણ ભાર મૂક્યો છે. દિલ્હીમાં નવા કર્તવ્ય ભવન કોમ્પ્લેક્સમાં કામ કરતા અધિકારીઓને મેટ્રો અથવા અન્ય જાહેર પરિવહનોમાં પ્રવાસ કરવા જણાવાયું છે. આ સિવાય સરકાર ભવ્ય આયોજનો અને લગ્નો માટે મર્યાદા નિશ્ચિત કરવા પણ વિચારણા કરી રહી છે.


