Get The App

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય 1 - image

CBSE Answer Sheet Physical Inspection Rule: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા બોર્ડ પરીક્ષાના પરિણામોના રી-વેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) અને વેરિફિકેશનની પ્રક્રિયામાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ અંતર્ગત, જે વિદ્યાર્થીઓ પરિણામ બાદ આન્સર શીટ વેરિફિકેશન માટે અરજી કરે છે અને જો તેમાં કોઈ ફેરફાર ન થાય એટલે કે "No-Change" રિઝલ્ટ આવે, તો પણ તેઓ પોતાની મૂલ્યાંકન કરાયેલી આન્સર શીટ રૂબરૂ જોઈ શકશે. બોર્ડ દ્વારા લેવાયેલો આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે એક મોટી તક સમાન છે જેઓ પોતાના માર્ક્સથી અસંતુષ્ટ છે અને બોર્ડના પરિણામોમાં વધુ સ્પષ્ટતા ઇચ્છે છે.

સીબીએસઈ રીજનલ ઑફિસ ખાતે ઉત્તરવહીઓ બતાવાશે

વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જો માર્ક્સમાં કોઈ સુધારો ન થાય, તો વિદ્યાર્થીઓ સીબીએસઈની રીજનલ ઑફિસ ખાતે જઈને પોતાની ઓરિજિનલ ઉત્તરવહીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકશે. બોર્ડના ઇતિહાસમાં આ પ્રકારની વ્યવસ્થા પ્રથમ વખત દાખલ કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સમયાંતરે ઉઠાવવામાં આવતી ચિંતાઓ અને આશંકાઓનું યોગ્ય નિવારણ કરવાનો છે.

આ પણ વાંચો : 

મૂલ્યાંકન સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે મોટું કદમ

અગાઉના નિયમો મુજબ, વિદ્યાર્થીઓ માત્ર માર્ક્સ વેરિફિકેશન અને રી-વેલ્યુએશન માટે ઓનલાઇન અરજી કરી શકતા હતા, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઉત્તરવહીઓ રૂબરૂ જોવાની કોઈ સત્તાવાર જોગવાઈ નહોતી. બોર્ડનું માનવું છે કે ફિઝિકલ ઇન્સ્પેક્શનની આ નવી સુવિધાથી બોર્ડની સમગ્ર મૂલ્યાંકન પ્રણાલી પ્રત્યે વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને સંતોષ બંને વધશે. જો કે, આ નિરીક્ષણ પ્રક્રિયા કેવી રીતે કામ કરશે અને તેના માટે વિદ્યાર્થીઓએ શું કરવું પડશે, તે અંગેની વિગતવાર માર્ગદર્શિકા સીબીએસઈ દ્વારા ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 87%થી વધુ અરજીઓનો નિકાલ કરાયો

આ નવી વ્યવસ્થાની જાહેરાત સાથે બોર્ડ દ્વારા 21 જૂન, 2026ના રોજ એક સત્તાવાર માહિતી પણ શેર કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, પરિણામ પછીની વિવિધ પ્રક્રિયાઓ (પોસ્ટ-રિઝલ્ટ એક્ટિવિટીઝ) માટે સબમિટ કરવામાં આવેલી કુલ અરજીઓમાંથી 87%થી વધુ અરજીઓનો પ્રથમ તબક્કામાં જ સફળતાપૂર્વક નિકાલ કરીને તેનું પરિણામ જાહેર કરી દેવાયું છે. જે વિદ્યાર્થીઓએ વેરિફિકેશન કે રી-વેલ્યુએશન સેવાઓ માટે અરજી કરી હતી, તેઓ સીબીએસઈના સત્તાવાર પોર્ટલ પર લોગ-ઇન કરીને પોતાના અપડેટ થયેલા માર્ક્સ અને ઍપ્લિકેશનનું કરંટ સ્ટેટસ ચેક કરી શકે છે.