India

CBI એક્શનમાં: મનીષ સિસોદિયા સહિત 13 લોકોના દેશ છોડવા પર રોક લગાવાઈ

By GS Team
21 Aug 20222 mins read
This article was originally published on 21 Aug 2022
CBI એક્શનમાં: મનીષ સિસોદિયા સહિત 13 લોકોના દેશ છોડવા પર રોક લગાવાઈ

- CBIની કાર્યવાહી બાદ મનીષ સિસોદિયા અને પાર્ટી નેતા બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા છે

નવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ 2022, રવિવાર

એક્સાઈઝ પોલિસીને લઈને વિવાદોમાં ઘેરાયેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત 13 લોકોને દેશ છોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. CBIએ આ બધા માટે લુક આઉટ નોટિસ જાહેર કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે CBIની ટીમે મનીષ સિસોદિયાના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે CBIએ દરોડા દરમિયાન દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા છે તેમની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ CBIની કાર્યવાહી બાદ મનીષ સિસોદિયા અને પાર્ટી નેતા બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, બીજેપી અને CBIના દરોડા વિશે મોદીજીના આ આ નિવેદનને જરૂર સાંભળવું. જો તમે ન સાંભળ્યુ હોય તો તમે એક બહુ મોટું સત્ય જાણવાથી વંચિત રહી જશો.

વધુ વાંચો: દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા

તેમણે પીએમ મોદીનો જૂનો વીડિયો શેર કરી તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું કે, 'માના કી ધીરે ધીરે તો મૌસમ ભી બદલતે રહતે હૈ, આપકી રફ્તાર સે તો હવાયે ભી હેરાન હૈ સાહબ.' તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, સિસોદિયાના નજીકના સહયોગીની કંપનીને કથિત રીતે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે સિસોદિયાએ કહ્યું કે, તેમણે કંઈ ખોટું નથી કર્યું અને તેઓ CBI તપાસ અને તેના દરોડાથી ડરતા નથી.