Get The App

ઇન્કમ ટેક્સમાં મોદી કેબિનેટનો મોટો ફેરફાર! હવે વિદેશી રોકાણકારોને જલસા, જાણો શું છે ફાયદો

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
Income Tax Act ordinance
(IMAGE - IANS)

Income Tax Act ordinance: ભારતીય બજારને વધુ મજબૂત કરવા અને વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે કેન્દ્રીય કેબિનેટે એક બહુ મોટો નિર્ણય લીધો છે. સરકાર ઇન્કમ ટેક્સ એક્ટમાં મોટો સુધારો કરવા જઈ રહી છે. આ નવા બદલાવ હેઠળ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને સરકારી બોન્ડ્સમાંથી થનારી કમાણી પર હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે, એટલે કે ટેક્સ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં વિદેશી મૂડીના પ્રવાહને ઝડપી બનાવવા અને ઈરાન યુદ્ધના કારણે અર્થતંત્ર પર પડી રહેલી નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે આ મોટું પગલું ભર્યું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધારા માટેના એક મોટા વટહુકમ (Ordinance)ને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ આ વટહુકમ દેશભરમાં લાગુ થઈ જશે.

વિદેશી રોકાણકારોને કેવી રીતે મળશે ફાયદો?

આ નવા નિર્ણય હેઠળ, સરકાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારતીય સરકારી જામીનગીરીઓ (Government Bonds/G-Secs)માં કરવામાં આવેલા રોકાણ પર લાગતા કેપિટલ ગેન્સ ટેક્સ (Capital Gains Tax)ને સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહી છે.

વિદેશી રોકાણકારો માટે લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સના વર્તમાન નિયમો

હાલના નિયમો પ્રમાણે, જો કોઈ વિદેશી રોકાણકાર 12 મહિનાથી વધુ સમય માટે બોન્ડ કે લિસ્ટેડ શેર્સ રાખે, તો તેમણે 12.5% લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ ભરવો પડતો હતો. આ સિવાય, સરકારી બોન્ડ્સમાંથી મળતા વ્યાજ પર પણ 20% વિથહોલ્ડિંગ ટેક્સ ચૂકવવો પડતો હતો, જેમાં મળતી 5%ની ખાસ રાહત સરકારે વર્ષ 2023માં બંધ કરી દીધી હતી. આ કડક નિયમોને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારથી થોડા નારાજ હતા. જોકે, હવે સરકાર નવો નિયમ લાવી રહી છે, જેમાં વિદેશી રોકાણકારોને આ કેપિટલ ગેન્સ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. સરકારની આ મોટી ટેક્સ છૂટ વિદેશી રોકાણકારોને ભારત તરફ વધુ આકર્ષિત કરશે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ, સર્જિયો ગોરે કહ્યું - ફક્ત 1% મુદ્દાઓ પર ચર્ચા બાકી

FPIs સતત પૈસા પાછા ખેંચી રહ્યા હતા, એટલે લેવાયો નિર્ણય

મિડલ ઈસ્ટના તણાવ અને ભારતના કડક ટેક્સ નિયમોને લીધે ચાલુ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી આશરે ₹2.5 લાખ કરોડ જેવી મોટી રકમ પાછી ખેંચી લીધી હતી. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી આ ભારે વેચવાલીને કારણે સ્થાનિક બજાર અને ભારતીય રોકાણકારો સતત ટેક્સ રેટ ઘટાડવાની માંગ કરી રહ્યા હતા. હવે સરકારના આ મોટા નીતિગત ફેરફારને કારણે ભારતીય બોન્ડ માર્કેટમાં ફરીથી વિદેશી નાણાંનો પ્રવાહ વધવાની પૂરી આશા છે, જેનાથી ભારતીય રૂપિયાને પણ મજબૂતી મળશે. આ સિવાય, સૂત્રોનું માનીએ તો દેશના અર્થતંત્રને વધુ ગતિ આપવા માટે આગામી સમયમાં સરકાર આવા કેટલાક અન્ય મોટા નિર્ણયો પણ લઈ શકે છે.