Get The App

BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, 'શાહી સ્નાન' રદ, અધિકારીઓની બદલી

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, 'શાહી સ્નાન' રદ, અધિકારીઓની બદલી 1 - image

BSNL director in trouble over lavish Prayagraj visit plan: કેન્દ્ર સરકાર VVIP કલ્ચરને સમાપ્ત કરવાની વાતો કરી રહી છે, ત્યારે BSNLના 'ડિરેક્ટર સાહેબ' માટે પ્રયાગરાજમાં સંગમ સ્નાનની રજવાડી વ્યવસ્થાનો વિવાદ થતા સોશિયલ મીડિયામાં લોકો ઠેકડી ઉડાવી રહ્યા છે. વાત એમ છે કે, BSNLના ડિરેક્ટર વિવેક બંજલે પ્રયાગરાજ મુલાકાત માટે 50 અધિકારીને ખડેપગે રાખ્યા હતા. સાબુથી લઈને ટોવેલ અને અન્ડરગાર્મેન્ટ તૈયાર રાખવાના આ પ્રોટોકોલનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ સરકાર સફાળી જાગી. એટલું જ નહીં, આ વિવાદાસ્પદ પ્રોટોકોલ જાહેર કરનારા PGMT બિજેન્દ્ર કુમાર સિંહની આંધ્ર પ્રદેશ બદલી પણ કરી દેવાઈ. 

'સાહેબ'ની સેવામાં 50 અધિકારી ગોઠવી દીધા

BSNLના ડિરેક્ટર વિવેક બંજલ 25-26 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ પ્રયાગરાજની મુલાકાત લેવાના હતા. અહીં તેઓ સંગમમાં સ્નાન કરીને બહાર આવે, તે માટે ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) સ્તરનો 21 મુદ્દાનો પ્રોટોકોલ જાળવવા માટે વિવેક બંજલ માટે 50 અધિકારી તહેનાત કરાયા હતા, જેથી ભારે વિવાદ સર્જાયો હતો. અહેવાલો પ્રમાણે, આ વાતની જાણ થતા જ સરકારે એક દિવસ પહેલા, 24 ફેબ્રુઆરીએ જ તેમની મુલાકાત રદ કરી દીધી હતી.   

સાબુ, શેમ્પૂ, અંડરગાર્મેન્ટ્સ સુધીની વ્યવસ્થા!

આ મુલાકાતને પગલે એરપોર્ટ પર સ્વાગતથી લઈને સ્નાન માટે સાબુ, શેમ્પૂ, શેવિંગ કિટ તેમજ ટોવેલ, સ્નાન બાદ પહેરવાના કપડાં, અંડરગાર્મેન્ટ્સ, હેર ઓઇલ, કાંસકો, સ્લિપર, ભોજન સહિત નાનામાં નાની બાબતોની વ્યવસ્થા કરાઈ હતી. આ માટે 50 જેટલા અધિકારી અને કર્મચારીઓને સત્તાવાર આદેશ કરાયો હતો કારણ કે, વિવેક બંજલ ‘સાહેબ’ને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો ના પડે. 

વિવાદિત પ્રોટોકોલ આપનારા અધિકારીઓ પર ગાજ

જો કે, આ મામલો ઉચ્ચ સ્તરે પહોંચતા જ વિવેક બંજલને આડે હાથ લીધા હોવાની પણ ચર્ચા છે. એટલું જ નહીં, વિવેક બંજલ વિરુદ્ધ 'કારણ દર્શાવો' નોટિસ ફટકારીને 7 દિવસની અંદર જવાબ આપવા પણ જણાવાયું છે. બીજી તરફ મિનિટ ટુ મિનિટ સેવાનો વિવાદિત પ્રોટોકોલ જાહેર કરનારા અધિકારી પ્રિન્સિપલ જનરલ મેનેજર, ટેલિકોમ (PGMT) બ્રિજેન્દ્ર કુમાર સિંહની બદલી આંધ્ર પ્રદેશ કરી દેવાઈ છે, જ્યારે ડિવિઝનલ જાગેશ્વર વર્માને તાત્કાલિક ધોરણે નેટવર્ક ટ્રાન્સમિશન નોર્થ યુનિટમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. 

આ જાણીને ઝટકો લાગ્યોઃ કેન્દ્રીય મંત્રી સિંધિયા 

સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, આ પરંપરાઓનું ઉલ્લંઘન છે, આ જાણીને ઝટકો લાગ્યો છે. આ સંપૂર્ણ રીતે ગેર વાજબી છે. આ માટે જે જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારમાં પાછલા બારણે VVIP કલ્ચરનો ટ્રેન્ડ 

આ ઘટના એ વાતની ચાડી ખાય છે કે ભારત સરકાર કે રાજ્ય સરકાર, નેતાઓ કે અધિકારીઓ માટે VVIP વ્યવસ્થાઓ ગુપચુપ ગોઠવી જ રહી છે. તેમના સાબુથી માંડીને સ્લિપર સુધીનું ધ્યાન રાખી રહી છે. સામે એ પણ દાખલા છે કે સામાન્ય નાગરિકો નિયમોના તાંતણે બંધાઈ લાઈનોમાં ઊભા રહેવા મજબૂર છે. જનતાની સેવાને બદલે નેતા અને અધિકારીઓની સેવામાં તંત્ર આખું નતમસ્તક કરી દેવામાં વાંધો નથી, કારણ કે ગરીબડા લોકોને બધુ ચાલશે, પરંતુ સાહેબને તકલીફ ન પડવી જોઈએ. ભલે પછી પવિત્ર કુંભ મેળામાં પણ લોકો કચડાઈને મરી જાય!