Gen-Zને આકર્ષવા ભાજપના ધમપછાડા: સ્મૃતિ ઈરાની-હર્ષ સંઘવી સહિત આ 5 નેતાઓને સોંપાઈ જવાબદારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP Gen Z Outreach Campaign: ભારતીય જનતા પાર્ટી (BJP) એ દેશના યુવાનો અને જનરેશન ઝેડ (Gen-Z) સાથે પોતાનો સંપર્ક વધુ મજબૂત કરવા માટે એક ખાસ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી કરી છે. આ માટે પાર્ટીએ એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમની રચના કરી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ આઉટરીચ અભિયાનનું નેતૃત્વ કરવા માટે ગઠિત ટીમમાં સંગઠનાત્મક અનુભવ અને યુવા નેતૃત્વનો સમન્વય કરવામાં આવ્યો છે.
નવી ટીમમાં યુવાઓનું નેતૃત્વ
આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઉપરાંત, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે પણ સામેલ છે. સાથે જ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢ સરકારના મંત્રી ઓ.પી. ચૌધરીનો પણ આ ટીમમાં સમાવેશ કરાયો છે. આ ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને અપેક્ષાઓને સમજવાનો તથા તેમને સીધા ભાજપના ટોચના નેતૃત્વ સાથે સંવાદ સાધવા માટેનું મંચ પૂરું પાડવાનો છે.
નાગરિકો સાથે સંવાદ, ચર્ચા અને સમન્વય
આ કાર્યક્રમનો હેતુ યુવા મતદારો અને પહેલીવાર મત આપનારા નાગરિકો સાથે સંવાદ, ચર્ચા અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સીધો સંપર્ક સાધવાનો છે. જેના દ્વારા ભાજપ રોજગાર, ટેકનોલોજી, સ્ટાર્ટ-અપ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર યુવાનોના વિચારોને પોતાના એજન્ડામાં સામેલ કરવા માંગે છે. તાજેતરમાં ઘોષિત નવી રાષ્ટ્રીય ટીમમાં વિનોદ તાવડે અને સુનીલ બંસલને રાષ્ટ્રીય મહાસચિવ પદે યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે સ્મૃતિ ઈરાની, બિપ્લવ કુમાર દેવ અને સતીશ પૂનિયા જેવા નેતાઓને નવા રાષ્ટ્રીય મહાસચિવ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પાર્ટીના નવા રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા છે.
આ ઉપરાંત, ભાજપે પોતાના આઈટી સેલના વડા અમિત માલવીયની જગ્યાએ છત્તીસગઢના દીપક મ્હાસ્કેની નિમણૂક કરી છે. જ્યારે ગુજરાતના હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જેમણે લોકસભા સાંસદ તેજસ્વી સૂર્યાનું સ્થાન લીધું છે.









