India

બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આગામી 9 મે, શનિવારના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જોકે, હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં જોરશોરથી અટકળો ચાલી રહી છે કે ભાજપ બંગાળમાં કોઈ મહિલાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપીને સૌને ચોંકાવી શકે છે. બીજી તરફ, મમતા બેનરજીને સતત બે વાર હરાવનારા શુભેન્દુ અધિકારીને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં મમતાની જેમ ભાજપ મહિલા CM બનાવશે? જાણો કયા નામ ચર્ચામાં, આ તારીખે શપથગ્રહણ
(IMAGE - IANS)

BJP West Bengal CM Race: પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આગામી 9 મે, શનિવારના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જોકે, હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં જોરશોરથી અટકળો ચાલી રહી છે કે ભાજપ બંગાળમાં કોઈ મહિલાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપીને સૌને ચોંકાવી શકે છે. બીજી તરફ, મમતા બેનર્જીને સતત બે વાર હરાવનારા શુભેન્દુ અધિકારીને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી પદની રેસમાં અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલી

ભાજપ તરફથી મહિલા મુખ્યમંત્રીની પસંદગી થાય તો તેમાં અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલીના નામ મોખરે છે. આસનસોલ દક્ષિણ બેઠક પરથી 40,839 મતોની સરસાઈથી જીતનાર અગ્નિમિત્રા પોલ અગાઉ જાણીતા ફેશન ડિઝાઇનર હતા અને હાલ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ છે. 

બીજી તરફ, 'મહાભારત'માં દ્રૌપદીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા રૂપા ગાંગુલીએ પણ સોનારપુર દક્ષિણ બેઠક પરથી 35 હજારથી વધુ મતોથી વિજય મેળવ્યો છે. રૂપા ગાંગુલી રાજ્યસભાના સાંસદ તરીકે પણ અનુભવ ધરાવે છે, જે તેમની દાવેદારીને મજબૂત બનાવે છે.

શુભેન્દુ અધિકારી સહિત આ દિગ્ગજો પણ મેદાનમાં

મુખ્યમંત્રી પદ માટે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ કેટલાક દિગ્ગજ પુરુષ નેતાઓના નામ પણ ચર્ચામાં છે. નંદીગ્રામ અને ભવાનીપુર જેવી હાઈપ્રોફાઈલ બેઠકો પર વિજય મેળવનાર શુભેન્દુ અધિકારીને દિલ્હી બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત, પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને RSSનો જાણીતો ચહેરો ગણાતા ઉત્પલ મહારાજના નામ પર પણ વિચારણા થઈ શકે છે. પક્ષના ધારાસભ્યોના નેતાની પસંદગી માટે હાઈકમાન્ડ ટૂંક સમયમાં બેઠક યોજશે.

આ પણ વાંચો: તમિલનાડુમાં કોંગ્રેસનો TVK ને સમર્થનનો દાવો, છતાં સુપરસ્ટાર વિજય નહીં બનાવી શકે સરકાર

અમિત શાહને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

બંગાળમાં વિધાયક દળના નેતાની પસંદગી માટે ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓ બંગાળના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રીના નામ પર આખરી મહોર મારશે. આગામી એક-બે દિવસમાં પીએમ મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠક બાદ બંગાળના નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉચકાશે.