Get The App

રાજ્યસભા ચૂંટણીમાં 'દગો' આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજબૂરી

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યસભા ચૂંટણીમાં 'દગો' આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજબૂરી 1 - image

Bihar Rajya Sabha Election: બિહારમાં ગત 16 માર્ચે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીએ મહાગઠબંધન(INDIA)ને મોટો ઝટકો આપ્યો છે. NDAએ તમામ પાંચ બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું છે, જ્યારે મહાગઠબંધનનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. આ હાર પાછળનું મુખ્ય કારણ મહાગઠબંધનના ધારાસભ્યોની ગેરહાજરી અને સંભવિત અંદરો અંદરનો ખટરાગ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે હવે મહા ગઠબંધનમાં ભારે ઉહાપોહ અને ડખો ઊભો થઈ ગયો છે. ચૂંટણીમાં ગેરહાજર રહેલા ધારાસભ્યો પર કાર્યવાહી કરવાના મુદ્દે બંને મુખ્ય પક્ષો, RJD અને કોંગ્રેસ મૂંઝવણમાં દેખાઈ રહ્યા છે. પક્ષો એ વાતને લઈને અસમંજસમાં છે કે આ બળવાખોર ધારાસભ્યો સામે શું પગલાં લેવા?

કોંગ્રેસનું કેવું છે વલણ?

ખાનગી રિપોર્ટ મુજબ બિહાર કોંગ્રેસના પ્રવક્તા અસિત નાથ તિવારીએ જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી, તેમ છતાં નોટિસ પાઠવી દેવામાં આવી છે. તેમણે કહ્યું, 'અમે તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારબાદ પાર્ટીના હાઇ કમાન્ડના નેતાઓ બેઠક કરીને આગળની યોગ્ય કાર્યવાહી નક્કી કરવામાં આવશે.' કોંગ્રેસે તેના ત્રણ ગેરહાજર ધારાસભ્યો - સુરેન્દ્ર મહેતા (વાલ્મીકિ નગર), મનોજ વિશ્વાસ (ફારબિસગંજ) અને મનોહર પ્રસાદ સિંહ(મણિહારી)ને કારણદર્શક નોટિસ ફટકારી છે.

કાર્યવાહી પડી શકે ભારે!

રિપોર્ટ અનુસાર, પક્ષના અન્ય એક નેતાએ સંકેત આપ્યો છે કે શિસ્તભંગના પગલાં લેવાની શક્યતા ઓછી છે. તેનું કારણ એ છે કે આ ત્રણ ધારાસભ્યો વિધાનસભામાં પક્ષની કુલ તાકાતના લગભગ અડધા હિસ્સા સમાન છે. નેતાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'જો વિધાનસભા અધ્યક્ષ તેમને અલગ જૂથ તરીકે માન્યતા આપી દે તો શું થાય?' કોંગ્રેસ નેતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ બળવાખોર ધારાસભ્યો સાચા કોંગ્રેસી ન હતા. મહેતાને અપક્ષ સાંસદ પપ્પુ યાદવના પ્રભાવને કારણે ટિકિટ મળી હતી, જ્યારે મનોહર પ્રસાદ સિંહને JDU નેતાઓની નજીક માનવામાં આવે છે.

RJD પણ મૂંઝવણમાં મૂકાઈ

RJD પણ તેના ઢાકાના ધારાસભ્ય ફૈઝલ રહેમાન(પૂર્વ સાંસદ મોતીઉર રહેમાનના પુત્ર)ને લઈને આવી જ મૂંઝવણનો સામનો કરી રહી છે. પક્ષના એક નેતાના જણાવ્યા અનુસાર, ફૈઝલે ગત વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ ઓછા અંતરથી જીત મેળવી હતી. આ ઉપરાંત મતદાનના દિવસે (16 માર્ચ) તેમની માતા ગંભીર રીતે બીમાર હતી. નેતાએ જણાવ્યું કે જ્યારે તેજસ્વી યાદવ પટના પરત ફરશે ત્યારે ધારાસભ્યને બોલાવવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં કોઈ ઔપચારિક 'કારણદર્શક નોટિસ' આપવામાં આવી નથી. RJDનું સ્પષ્ટ કહેવું છે કે તે NDA નેતાઓના ઉશ્કેરણીમાં આવશે નહીં, જેઓ પાર્ટીને વધુ નબળી પાડવા માંગે છે.

કયા ધારાસભ્યોની શું છે દલીલ?

કોંગ્રેસના ત્રણેય બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે RJD દ્વારા અપમાનિત અને અવગણના કરવામાં આવી છે. તેમનો દાવો છે કે RJDએ એક તરફી નિર્ણય લેતા એ. ડી. સિંહને વિપક્ષના ઉમેદવાર બનાવ્યા હતા. બીજી તરફ RJD ધારાસભ્ય ફૈઝલ રહેમાને મતદાનમાં હાજર ન રહેવાનું કારણ તેમની માતાની બીમારી ગણાવી છે. સમગ્ર મામલે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ સંતોષ પાઠકે વિપક્ષી ધારાસભ્યોના આરોપોને ફગાવતાં કહ્યું કે, NDA તેની એકતાના કારણે જીત્યું છે. JDUના રાષ્ટ્રીય પ્રવક્તા નીરજ કુમારે કટાક્ષ કરતાં કહ્યું કે શક્તિ સિંહ યાદવ જેવા RJD નેતાઓ વિપક્ષી એકતાની વાતો કરતા હતા. હવે જ્યારે તેઓ પોતાના જ ધારાસભ્યોને એકજૂથ રાખવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે RJD અને કોંગ્રેસની જવાબદારી છે કે તેઓ પોતાના ધારાસભ્યો પર શિસ્તભંગની કાર્યવાહી કરીને એક દાખલો બેસાડે.

આ પણ વાંચો: 'લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે', સોશિયલ મીડિયા 'ટ્રાયલ' પર સુપ્રીમ કોર્ટની ચિંતા

કેવી રીતે થઈ ચૂંટણી અને શું હતું ગણિત?

રાજ્યમાં 16 માર્ચે રાજ્યસભાની 5 ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. 243 સભ્યોની વિધાનસભામાં NDAના 202 સભ્યો છે અને તેની 4 બેઠકો જીતશે તે કન્ફર્મ હતું, રસાકસી પાંચમી બેઠક માટે હતી. બીજી તરફ વિપક્ષની કુલ ક્ષમતા 41(AIMIMના 5 ધારાસભ્યોના સમર્થન સહિત) હતી, જે એ.ડી. સિંહની જીત માટે પૂરતી હતી. કોઈપણ ઉમેદવારને જીતવા માટે 41 મતોની જરૂર હતી. પરંતુ 4 ધારાસભ્યો ગેરહાજર રહેવાને કારણે પાંચમી બેઠકમાં ન તો NDAના શિવેશ રામ કે ન તો વિપક્ષના એ.ડી. સિંહ 41ના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યા. તેથી બીજી પસંદગી(અન્ય 4 ઉમેદવારોને વધુ મત મળ્યા હતા, જેમાં બીજા વિકલ્પ તરીકે શિવેશ રામનું નામ હતું તે મતો પાંચમા ઉમેદવારના સમર્થનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા)ના મતોના આધારે NDAના શિવેશ રામને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.