Get The App

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું...' અશોક ગેહલોતનો મોટો દાવો

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું...' અશોક ગેહલોતનો મોટો દાવો 1 - image

Ashok Gehlot Congress President : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે વધુ એક વખત એ જૂનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા-બનતા રહી ગયા હતા. ગેહલોતનું કહેવું છે કે, 'મારા અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ એક આયોજિત ષડયંત્રના કારણે બધું જ બદલાઈ ગયું અને, આજે પણ લોકો આ મામલાનું અસલી સત્ય જાણતા નથી. હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઈ રહ્યો હતો અને સોનિયા ગાંધી તેમજ પાર્ટી નેતૃત્વએ આ પદ માટે મારી પસંદગી કરી લીધી હતી. પરંતુ અચાનક બદલાયેલા ઘટનાક્રમ અને એક કથિત કાવતરાના કારણે આ પદ મળી શક્યુ ન હતું.'

ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની ચર્ચા ચાલી હતી. તે સમયે સોનિયા ગાંધી અને કોંગ્રેસની ટોચની લીડરશિપે અશોક ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું હતું. ગેહલોત પોતે પણ આ પદ માટે તૈયાર હતા, અને તેમણે આ બાબતને પોતાના માટે સન્માનની વાત ગણાવી હતી.

પછી અચાનક શું થયું?

પરંતુ જેવું આ નક્કી થવા લાગ્યું, પાર્ટીએ રાજસ્થાનમાં નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) મોકલ્યા, એટલે કે એવા નેતાઓ જે ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરવા આવ્યા હતા. આ પછી સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ આખા ઘટનાક્રમ પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેના કારણે તે અધ્યક્ષ બની શક્યા નહીં.

લોકોમાં શું ભ્રમ પેદા થયો?

આ સમગ્ર મામલા બાદ દેશભરમાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે, ગેહલોતે પોતે જ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડી દીધી હતી, કારણ કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ છોડવા માંગતા ન હતા. એટલે કે લોકોની નજરમાં આ ગેહલોતની પોતાની પસંદગી હતી. અહીં સુધી કે તેમના અંગત લોકો અને સમર્થકો પણ અત્યાર સુધી આ જ વાત માનતા આવ્યા છે.

ગેહલોત હવે શું કહી રહ્યા છે?

અશોક ગેહલોત હવે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કે તેઓ અધ્યક્ષ બનવા માંગતા જ હતા, તેમની પૂરી તૈયારી હતી અને પોતે પાછળ હટ્યા નહોતા. ઉલટાનું જે કંઈ પણ થયું તે એક મોટા ષડયંત્રનું પરિણામ હતું. તેમનું કહેવું છે કે 'આ કાવતરાના કારણે તેમની છબીને નુકસાન પહોંચ્યું અને દેશભરમાં તેમના વિશે ખોટી માન્યતા ઊભી થઈ ગઈ.'

આજે પણ સત્ય છુપાયેલું છે

ગેહલોતે વધુમાં ઉમેર્યું કે, 'હું કોઈ અભણ કે અજાણ નેતા નથી. મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓથી લઈને વર્તમાન સમયમાં પણ કોંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશાથી ખૂબ જ સન્માનજનક રહ્યું છે. અધ્યક્ષ બનવા માટે કોઈ ખાસ પરિવાર કે પૃષ્ઠભૂમિની જરૂર હોતી નથી.'

તેમના મતે, સોનિયા ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો આખરી નિર્ણય લીધો હોવાથી, તેમના માટે આ જવાબદારી સ્વીકારવી સ્વાભાવિક હતી. પરંતુ તે જ સમયે અચાનક કેટલાક એવા ઘટનાક્રમો બન્યા, જેમણે આખી તસવીર બદલી નાખી. ગેહલોતનું કહેવું છે કે, 'આ સમગ્ર મામલાની અસલી સચ્ચાઈ આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. સતત લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે નકારાત્મક ધારણા બની ચૂકી છે, તેને હટાવવી સરળ નથી. પોતાના કારણે નહીં, પરંતુ પરિસ્થિતિઓ અને ષડયંત્રના કારણે આ પદથી વંચિત રહી ગયા હતા.'