મારી પાસે ઘર પણ નથી... કેજરીવાલે આપ્યું રાજીનામાનું કારણ, મોહન ભાગવતને પૂછ્યા પાંચ સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arvind Kejriwal Asked Questions to RSS : દિલ્હીના જંતર-મંતર પર આમ આદમી પાર્ટીએ 'જનતા કી અદાલત' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું, '4 એપ્રિલ, 2011 નો દિવસ હતો જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલન શરૂ થયું હતું. અમે પ્રામાણિકતાથી સરકાર ચલાવી રહ્યા હતાં. જનતાને સુવિધાઓ આપી, વીજળી ફ્રી કરી દીધી, પાણી ફ્રી કર્યું, મહિલાઓ માટે બસ મુસાફરી ફ્રી કરી, વડીલોને ફ્રીમાં તીર્થયાત્રા કરાવી, હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિક અને શાનદાર સ્કૂલ બનાવી. 10 વર્ષ સુધી પ્રામાણિકતાથી કામ કર્યું, તો નરેન્દ્ર મોદીને લાગવા લાગ્યું કે, આનાથી જીતવું છે તો તેની પ્રામાણિકતા પર વાર કરો. તેથી તેઓએ મારા પર ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યાં. અમારા મંત્રીઓ અને નેતાઓને વીણી-વીણીને જેલમાં નાંખ્યા.'
રાજીનામાનું કારણ જણાવ્યું
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આ નેતાઓ (ભાજપ) ને કેસ અને મુકદ્દમાઓથી ફરક નથી પડતો, તેમની ચામડી જાડી થઈ ગઈ છે. જોકે, હું આવો નથી. હું નેતા નથી, મારી ચામડી જાડી નથી. મને ખોટાં આરોપોથી ફરક પડે છે. મને ચોર અને ભ્રષ્ટાચારી કહેવામાં આવે તો મને ફરક પડે છે. હું ખૂબ જ દુઃખી છું, તેથી રાજીનામું આપી દીધું. મેં મારા જીવનમાં ફક્ત સન્માન અને પ્રામાણિકતા કમાઈ છે. મારી બેન્કમાં કોઈ પૈસા નથી. 10 વર્ષ બાદ મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડીવારમાં આવાસ પણ છોડી દઈશ. આજે દિલ્હીમાં રહેવા માટે મારી પાસે ઘર પણ નથી.'
જેપી નડ્ડા પર કર્યાં પ્રહાર
આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંબંધો પર પણ તીખી ટિપ્પણી કરી હતી. કેજરીવાલે કહ્યું, 'RSS ભાજપની માતા બરાબર છે, પરંતુ આજે ભાજપ પોતાની માને આંખો બતાવે છે.' કેજરીવાલનું આ નિવેદન પર જેપી નડ્ડાની એ ટિપ્પણીના સંદર્ભમાં હતું, જેમાં નડ્ડાએ કહ્યું હતું કે, 'ભાજપને હવે આરએસએસની જરૂર નથી.'
કેજરીવાલની ટિપ્પણીએ રાજકીય ચર્ચા શરૂ કરી દીધી છે, ખાસ કરીને એવા લોકોની વચ્ચે જે આરએસએસ અને ભાજપના ગાઢ સંબંધોને મહત્ત્વપૂર્ણ માને છે. કેજરીવાલે સવાલ કરતા કહ્યું કે, 'શું તમને જેપી નડ્ડાની આ ટિપ્પણીથી દુઃખ ન થયું?' કેજરીવાલે એ વાત પર ભાર મુક્યો કે, ભાજપ અને આરએસએસ વચ્ચે ગાઢ સંબંધ છે અને આ પ્રકારની ટિપ્પણી આ સંબંધને ઈજા પહોંચાડવાનું કામ કરે છે.
મોહન ભાગવતને પૂછ્યાં પ્રશ્ન
કેજરીવાલે જંતર-મંતર પર આયોજિત આ જનસભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતને પાંચ મોટા પ્રશ્ન પૂછ્યા હતાં.
- સવાલ-1. કેજરીવાલે પુછ્યું કે, 'વડાપ્રધાન મોદી આખાય દેશને લાલચ આપીને અથવા પ્રવર્તન નિદેશાલય (ED) અને કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) નો ડર બતાવીને વિપક્ષી પાર્ટીના નેતાઓને તોડી રહ્યાં છે, સરકારો પાડી રહ્યા છે. શું દેશના લોકતંત્ર માટે આ બરાબર છે? શું મોહન ભાગવત એવું નથી માનતા કે, ભારતીય લોકતંત્ર માટે આ હાનિકારક છે?'
- સવાલ-2. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદીએ દેશના સૌથી ભ્રષ્ટ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધાં છે. કેજરીવાલે કહ્યું કે, 'જે નેતાઓને મોદી અને અમિત શાહે ભ્રષ્ટ કહ્યાં, બાદમાં તેમને જ ભાજપમાં સામેલ કરી દીધાં. શું તમે આવા ભાજપની કલ્પના કરી હતી? આ પ્રકારની રાજનિતીથી RSS સંમત છે?'
- સવાલ-3. કેજરીવાલે ત્રીજા સવાલમાં કહ્યું કે, 'ભાજપ RSS ના કોખે જન્મી છે અને RSS ની જવાબદારી છે કે, તે સુનિશ્ચિત કરે કે, ભાજપ યોગ્ય માર્ગે ચાલે. શું તમે મોદીજીને ક્યારેય કહ્યું કે, તે ખોટાં રસ્તે ન ચાલે? શું તમે આજના ભાજપની કામ કરવાની પદ્ધતિથી સંતુષ્ટ છો?'
- સવાલ-4. કેજરીવાલે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ એ નિવેદન પર પણ સવાલ કર્યો, જેમાં નડ્ડાએ કહ્યું હતું કે, હવે ભાજપને આરએસએસની જરૂર નથી. કેજરીવાલે પુછ્યું, 'RSS ભાજપની મા સમાન છે, શું તમને દુઃખ નથી થતું કે, તમારા 'દીકરા' એ આવું કહ્યું? શું આરએસએસના કાર્યકર્તાઓને પીડા ન થઈ?'
- સવાલ-5. RSS અને ભાજપના બનાવેલા 75 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ નિયમ પર સવાલ કરતાં કેજરીવાલે કહ્યું, 'આ નિયમ હેઠળ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને નિવૃત્ત કરી દેવાયા, પરંતુ હવે અમિત શાહ કહે છે કે, આ નિયમ મોદીજી પર લાગુ નહીં પડે. શું આ યોગ્ય છે? શું મોદીજી પર પણ આ નિયમ લાગુ નહીં થાય?'









