Arvind Kejriwal On Congress And BJP : દિલ્હીની દારૂ નીતિ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપ મુક્ત કર્યા બાદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કોર્ટે સીબીઆઇની ઝાટકણી કાઢીને કહ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટના નિર્ણય બાદ હવે કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને રૉબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસને શરમ આવતી નથી : કેજરીવાલના પ્રહાર
કોર્ટના નિર્ણય બાદ કેજરીવાલે અને પાર્ટીના નેતાઓએ વિજય સરઘસ કાઢ્યો છે. ત્યારબાદ કેજરીવાલે એક પ્રેસકોન્ફરન્સ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘કોંગ્રેસે કહ્યું છે કે, ભાજપ કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માંગે છે, તેથી તમને રાહત અપાવી છે.’ આ મામલે જવાબ આપતાં કેજરીવાલે કહ્યું કે, ‘હું તમને પૂછવા માંગું છું કે, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), મનિષ સિસોદિયા (Manish Sisodia), સંજય સિંઘ (Sanjay Singh) જેલ ગયા, શું સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi), રૉબર્ટ વાડ્રા (Robert Vadra) જેલમાં ગયા? તેઓ કયાં મોઢે વાત કરે છે, કોંગ્રેસને શરમ આવતી નથી.’
કેજરીવાલનો PM મોદી અને ભાજપને પડકાર
કેજરીવાલે (Arvind Kejriwal) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ભાજપને દિલ્હીમાં ચૂંટણી યોજવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, ‘જો દિલ્હીમાં ફરી ચૂંટણી યોજવામાં આવે અને તેમાં ભાજપને 10થી વધુ બેઠકો મળશે તો હું રાજકારણ છોડી દઈશ.’ દિલ્હીમાં ફેબ્રુઆરી-2025માં ભાજપ સત્તામાં આવ્યા બાદ દિલ્હીને નુકસાન થયું છે.’
‘દિલ્હી પ્રજા પરેશાન થઈ ગઈ’
તેમણે કહ્યું કે, ‘આખી દિલ્હી બરબાદ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહની સત્તાની ભૂખના કારણે દિલ્હીની ત્રણ કરોડની પ્રજા સૌથી મોટું નુકસાન ભોગવી રહી છે. તમે દિલ્હીની લોકો પાસે જઈને પૂછો. આજે હું મોદીજીને પડકાર ફેંકું છું કે, જો હિમ્મત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરાવે. જો તેમને 10થી વધુ બેઠકો મળશે તો હું રાજકારણ છોડી દઈશ. દિલ્હીની પ્રજા તમારા લોકોથી પરેશાન થઈ ગઈ છે.’
લિકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને 'ક્લિનચીટ' મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


