Get The App

લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM 1 - image

AAP Liquor Policy Case : દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને 'ક્લિનચીટ' મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે.


કોને-કોને મળી રાહત?

કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તપાસ એજન્સી પાસે પુરાવા નથી: કોર્ટ

કોર્ટે કહ્યું કે, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.

આમ આદમી પાર્ટીને ખતમ કરવા ભાજપનું કાવતરું: કેજરીવાલ

કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. 5 મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા. અમારા ડેપ્યુટી CMને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.'

કોર્ટ તરફથી ક્લિનચીટ મળતાં કેજરીવાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

તપાસ એજન્સીની પ્રતિક્રિયા

જો કે, સીબીઆઇએ જણાવ્યું છે કે, તેઓ આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઇકોર્ટમાં પડકારશે. સીબીઆઇના વકીલોએ સંકેત આપ્યો છે કે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરાશે.

જાણો આ કેસની પૃષ્ઠભૂમિ

ઉલ્લેખનીય છે કે, આ મામલો 2022-23ની દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) સાથે જોડાયેલો છે. આ મામલે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો અને બાદમાં ઈડી(ED)એ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ શરુ કરી હતી. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ આ કેસમાં જેલમાં ગયા હતા અને ઘણી વખત તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પ્રથમ દૃષ્ટિએ સીબીઆઇની ચાર્જશીટના આધારે કેજરીવાલ અને સિસોદિયા વિરુદ્ધ કેસ બનતો નથી. આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે અત્યાર સુધીની સૌથી મોટી રાહત માનવામાં આવી રહી છે.