વધુ એક છબરડો : જયપુરમાં ચાલુ પરીક્ષાએ વીજળી ગુલ, હવે રી-ટેસ્ટે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : રવિવારે સમગ્ર દેશમાં ૨.૬૩ લાખથી વધુ ઉમેદવારો માટે નીટ-પીજી ૨૦૨૬નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં જયપુરમાં બે કેન્દ્રોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં પરીક્ષા પૂર્ણ થઇ શકી ન હતી.
નેશનલ બોર્ડ ઓફ એગ્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (એનબીઇએમએસ) દ્વારા જારી એક નોટિસ અનુસાર બોર્ડે જયપુરમાં અસરગ્રસ્ત ઉમેદવારો માટે ૫ સપ્ટેમ્બરે બપોરે બે કલાકે ફરીથી પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એનબીઇએમએસએ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર સુનિશ્ચિત કરવા માટે જવાબદાર ટેકનોલોેેજી પાર્ટનર અને એજન્સીની વિરુદ્ધ આગળની કાર્યવાહી નક્કી કરવા માટે એક તાત્કાલિક બેઠક પણ બોલાવી છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જયપુરનાં સીતાપુરામાં બે આઇઓએન ડિજિટલ ઝોન સેન્ટરો પર ટેકનોલોજી પાર્ટનર અને પરીક્ષાનું આયોજન કરનારી એજન્સી ટીસીએસ લિમિટેડને કારણે વીજ પુરવઠામાં આંતરિક સમસ્યાઓને કારણે ૨૪૪૫ ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થઇ શકી ન હતી.અસરગ્રસ્ત સેન્ટર આઇઓએન ડિજિટલ ઝોન આઇડીઝેડ સીતાપુરા (ટીસી નંબર ૪૧૬૮૨ અને ૪૧૬૮૩) છે. બોર્ડે જણાવ્યું હતું કે આગામી પરીક્ષાનું સ્થળ અને નવા એડમિટ કાર્ડ સહિત આગળની માહિતી અલગથી આપવામાં આવશે.
મંત્રાલયનાં જણાવ્યા અનુસાર નીટ-પીજી તમામ ૩૬ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ૩૩૯ શહેરોમાં ૧૧૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૨,૭૩,૦૯૬ ઉમેદવારો માટે યોજવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે નીટ-પીજીમાં કુલ ૨,૬૫,૯૮૦ ઉમેદવાર સામેલ થયા હતાં અને ૨,૬૩,૫૩૫ ઉમેદવારોની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી.




