Akhilesh Yadav Press Conference : ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ધીમે-ધીમે ગરમાવા લાગ્યો છે. રવિવારે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, તો બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
વિદેશ યાત્રા પર કર્યો કટાક્ષ
આ દરમિયાન તેમણે સીએમ યોગીની વિદેશ યાત્રા (સિંગાપોર અને જાપાન) પર કટાક્ષ કર્યો અને બંને ડેપ્યુટી સીએમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "સીએમ તો બહાર જઈ રહ્યા છે, પાછળથી અમે ઓફર આપીએ છીએ કે 100 ધારાસભ્યો લઈને આવે અને યુપીના સીએમ બની જાય." આ ઓફર દોહરાવતા તેમણે કહ્યું કે, જે 100 ધારાસભ્યો લાવશે તે સીએમ બનશે. તેમણે આ ઓફરની વેલિડિટી પણ જણાવી કે આ ઓફર માત્ર એક અઠવાડિયા માટે છે.
અગાઉ પણ અખિલેશે આવી ઓફર આપી હતી
નોંધનીય છે કે, અખિલેશ યાદવે અગાઉ પણ આવી ખુલ્લી ઓફર આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો કોઈ પોતાની સાથે 100 ધારાસભ્યો તોડીને લાવશે, તો વિપક્ષ તેને સીએમ બનાવવામાં પૂરો સહયોગ અને સમર્થન આપશે. તેમણે બંને ડેપ્યુટી સીએમ વિશે કહ્યું કે, સીએમ બનવાની ઈચ્છા બંનેની છે. જે પણ 100 ધારાસભ્યો લાવશે તે મુખ્યમંત્રી બનવાની તક મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ યોગી આદિત્યનાથ રવિવારે સાંજે સિંગાપોર અને જાપાનના ચાર દિવસીય પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય યુપીને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. યાત્રા દરમિયાન સીએમ યોગી વૈશ્વિક કંપનીઓને યુપીમાં રોકાણ માટે આમંત્રિત કરશે.
પત્રકાર પરિષદમાં અનેક મામલે નિવેદન
પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ પીડા વધી રહી છે તેમ તેમ પીડીએ (PDA) પરિવાર પણ વધી રહ્યો છે. સીએમ યોગીની વિદેશ યાત્રા પર વધુ એક કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, કોઈ ચાપલૂસ અધિકારીની સલાહ પર તેઓ ત્યાં જઈ રહ્યા છે. જાપાન જઈને તેમને અફસોસ થશે કે દસ વર્ષમાં તેમણે શું નથી કર્યું.
સપાએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો
સપા પ્રમુખે ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, પાણીની ટાંકીઓ હવે ભ્રષ્ટાચારનો ભાર સહન કરી શકતી નથી. એક લાખ કરોડની બુલેટ ટ્રેન હવે બે લાખ કરોડમાં બની રહી છે. અખિલેશ યાદવે વધુમાં ઉમેર્યું કે ભલે તેમની સુરક્ષા હટાવી લેવામાં આવે, પરંતુ તેઓ સરકારને હટાવીને જ જંપશે.


