India

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો...’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ

By GS Team
17 Jun 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં શિવસેના UBTમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને પક્ષમાં ભંગાણના દાવાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક મહત્વની સલાહ આપી છે. લખનઉ સ્થિત સપા મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું કે, જો ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી ખૂબ જ જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો...’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ

Akhilesh Yadav On Shiv Sena UBT : મહારાષ્ટ્રમાં શિવસેના UBTમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને પક્ષમાં ભંગાણના દાવાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક મહત્વની સલાહ આપી છે. લખનઉ સ્થિત સપા મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું કે, જો ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી ખૂબ જ જરૂરી છે.

‘જે ડરી જશે તે પક્ષ છોડીને જતો જ રહેશે’

પત્રકાર પરિષદ દરમિયાન પોતાની પાર્ટીમાં પણ ભંગાણ પડવાની અટકળો પર અખિલેશ યાદવે આકરો પ્રહાર કર્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભાજપે અગાઉ સપાના પણ ઘણા ધારાસભ્યો, MLC અને રાજ્યસભા સાંસદોને તોડ્યા હતા. લોકોનો શું સ્વાર્થ હશે, શું લાલચ હશે કે પછી કયો ડર હશે? જે ડરી જશે, તે પોતાનો પક્ષ છોડીને જતો જ રહેશે. જોકે, આવનારા સમયમાં ભાજપને સમાજવાદી પાર્ટીનો મોટો ડર સતાવી રહ્યો છે.

ભાજપના જ ધારાસભ્યો પક્ષપલટાની તૈયારીમાં

કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે અગાઉની પ્રેસ કોન્ફરન્સને યાદ કરતા મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘હવે હું ભારતીય જનતા પાર્ટીને તોડીશ નહીં અને તેમના ધારાસભ્યોને મારી પાર્ટીમાં લઈશ પણ નહીં. ભાજપ અત્યારે ભલે બીજાના પક્ષો તોડી રહી હોય અને સાંસદો છીનવી રહી હોય, પરંતુ યુપીમાં તેમના પોતાના જ ધારાસભ્યો પક્ષપલટો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ લોકો સમય આવ્યે જ પોતાના પત્તા ખોલશે, કારણ કે તેમનો કોઈ ભરોસો નથી.’

સપા ભાજપ સામે મુકાબલો કરવા સંપૂર્ણ તૈયાર 

અખિલેશ યાદવે દાવો કર્યો છે કે, સમાજવાદી પાર્ટી એક અત્યંત મજબૂત પક્ષ છે અને તેણે રાજકારણમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, તેથી સપા ભાજપ સામે મુકાબલો કરવા માટે પૂરી રીતે તૈયાર છે. અખિલેશનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે સુભાસપાના પ્રમુખ ઓપી રાજભર સતત એવો દાવો કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સપામાં પણ મોટું ભંગાણ પડી શકે છે.