Get The App

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું - હીરો બનવા કેમ ગયા?

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું - હીરો બનવા કેમ ગયા? 1 - image

Abhishek Banerjee Attack: તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પર સોનારપુરમાં થયેલા કથિત હુમલા અને ગેરવર્તણૂકના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોનારપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ કાર્યવાહી કરતા પોલીસે હુમલો કરનારા અને ઘેરાવ કરનારા 5 સ્થાનિક લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકોએ અભિષેક બેનરજીની મુલાકાત દરમિયાન તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા.

હુગલીમાં TMC કાર્યકરોનો જોરદાર વિરોધ

બીજી તરફ, આ ઘટનાના વિરોધમાં ટીએમસીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુગલી જિલ્લાના ચુંચુડામાં પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અસિત મજુમદારની આગેવાનીમાં કાર્યકરોએ પીપુલપાતી મોડ પર રસ્તા ચક્કાજામ કરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેને પાછળથી પોલીસે આવીને સામાન્ય કરાવી હતી. અસિત મજુમદારે આક્ષેપ કર્યો હતો કે અત્યાચારનો સામનો કરી રહેલા કાર્યકરોને મળવા ગયેલા અભિષેક બેનરજી પર ઈંડા અને પગરખાં ફેંકીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે, જે બિલકુલ સહન નહીં કરવામાં આવે.

નોંધનીય છે કે, પૂર્વ ધારાસભ્ય અસિત મજુમદાર અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારી સામે રેલી કાઢી રહ્યા હતા, પરંતુ રેલી દરમિયાન જ તેમને અભિષેક બેનરજી પર હુમલાના સમાચાર મળતા તેઓ સમર્થકો સાથે ધરણા પર બેસી ગયા હતા.

'ત્યાં હીરો બનવા કેમ ગયા?': દિલીપ ઘોષ

અભિષેક બેનરજી પર થયેલા આ હુમલા બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા નેતા દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, "અભિષેક બેનરજી સાથે જે થયું તે ન થવું જોઈતું હતું, કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. પરંતુ છેલ્લા 15 વર્ષથી જનતા જે સહન કરી રહી છે અને લોકોને હેરાન કરવામાં આવ્યા છે, તેનો આક્રોશ ક્યાંક તો દેખાશે જ."

તેમણે અભિષેક બેનરજી પર કટાક્ષ કરતા વધુમાં કહ્યું કે, "ચૂંટણીના પરિણામો જોઈને તમારે સ્થિતિ સમજી જવી જોઈતી હતી. તમે ત્યાં હીરો બનવા કેમ ગયા હતા? જે વ્યક્તિ 22 ગાડીઓનો કાફલો લઈને ફરે છે તે જો આવી રીતે હીરો બનવાનો પ્રયત્ન કરશે તો શું થશે? જનતા બધું જ જોઈ રહી છે અને તે માત્ર તકની રાહ જોતી હતી. તમે લોકોને આવી તક જ કેમ આપો છો?"