Get The App

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ 1 - image

Raghav Chadha Controversy: આમ આદમી પાર્ટી અને રાઘવ ચઢ્ઢા વચ્ચેની લડાઈ હવે આરપારના જંગમાં ફેરવાઈ ગઈ છે. રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં પોતાની પાર્ટી પર જે આક્ષેપો કર્યા હતા, તેનો જવાબ આપવા ખુદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ મેદાનમાં આવ્યા છે. પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, રાઘવ ચઢ્ઢા હવે જનતાના મુદ્દા નહીં પણ માત્ર સોફ્ટ PR કરી રહ્યો છે.

રાઘવ ચઢ્ઢા ભાજપ સાથે મળી ગયા છે: ભગવંત માન

પંજાબના સીએમ ભગવંત માને રાઘવ ચઢ્ઢા પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, મને લાગે છે કે રાઘવ ચઢ્ઢાએ ભાજપ સાથે સમજૂતી (Compromised) કરી લીધી છે. જ્યારે પાર્ટી નક્કી કરે છે કે રાજ્યસભામાં કયા ગંભીર મુદ્દાઓ પર બોલવાનું છે, ત્યારે રાઘવ ચઢ્ઢા કેન્ટીનમાં સમોસાના ભાવ પર બોલે છે. એવું લાગે ત્યારે સ્પષ્ટ છે કે, નેતા કોઈ બીજા સ્ટેશનથી બોલી રહ્યો છે. આવી સ્થિતિમાં પક્ષે નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવી જ પડે.


સંસદમાં ડરી રહ્યો છે રાઘવ ચઢ્ઢા

AAP નેતા અનુરાગ ઢાન્ડાએ રાઘવ ચઢ્ઢાની ઝાટકણી કાઢતા કહ્યું કે, અમે કેજરીવાલના સિપાહી છીએ અને નિર્ભયતા અમારી ઓળખ છે. જે ડરી જાય તે દેશ માટે શું લડશે? સંસદમાં પક્ષને બોલવા માટે મર્યાદિત સમય મળે છે, તે સમયનો ઉપયોગ દેશ બચાવવા માટે કરવાનો હોય, નહીં કે એરપોર્ટ કેન્ટીનના સમોસા સસ્તા કરાવવા માટે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

ટાન્ડાએ રાઘવ ચઢ્ઢા પર આક્ષેપ કર્યા કે, ગુજરાતમાં AAPના સેંકડો કાર્યકર્તાઓની ધરપકડ થઈ ત્યારે રાઘવ ચઢ્ઢાએ સંસદમાં અવાજ કેમ ન ઉઠાવ્યો? પશ્ચિમ બંગાળમાં મતાધિકાર છીનવવાના મુદ્દે જ્યારે પ્રસ્તાવ આવ્યો ત્યારે રાઘવે હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી. જ્યારે આખી પાર્ટી સંસદમાંથી વૉકઆઉટ કરે છે, ત્યારે પણ રાઘવ પોતાની હાજરી નોંધાવવા માટે ગૃહમાં બેસી રહે છે.



સંસદમાં સોફ્ટ PR કરી રહ્યા હતા રાઘવ ચઢ્ઢા: સૌરભ ભારદ્વાજ

દિલ્હીના કદાવર નેતા સૌરભ ભારદ્વાજે પણ રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ સંસદમાં માત્ર પોતાનું સોફ્ટ PR કરવામાં વ્યસ્ત હતા. જ્યારે પાર્ટીના અસ્તિત્વની લડાઈ હતી ત્યારે રાઘવ ચઢ્ઢા ગાયબ હતા. પશ્ચિમ બંગાળમાં લોકશાહી પર થયેલા હુમલા કે ગુજરાતના કાર્યકર્તાઓના સમર્થનમાં તેમણે કોઈ નક્કર પહેલ કરી નથી. આમ આદમી પાર્ટીના નેતાઓના આ આકરા તેવર બતાવે છે કે રાઘવ ચઢ્ઢા માટે હવે પાર્ટીમાં પરત ફરવાના રસ્તા લગભગ બંધ થઈ ગયા છે. પક્ષના નેતાઓ તેમને ડરપોક અને ભાજપના એજન્ટ તરીકે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આગામી સમયમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત આપે છે.