લદાખ પહોંચતા જ સોનમ વાંગચુકે કર્યા સરકારના 'વખાણ'! કહ્યું- ભારતીય રેલવે પર ગર્વ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Video: પર્યાવરણવિદ્ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર સતત 26 દિવસના અનશન બાદ લદાખ પરત ફર્યા છે. દિલ્હીથી શ્રીનગર પાછા ફરતી વખતે તેમણે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેન પ્રવાસના પોતાના અનુભવ અને રસ્તામાં આવતા એન્જિનિયરિંગની અજાયબી સમાન ચિનાબ બ્રિજને લઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ભારતીય રેલવે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુક્ત મને પ્રશંસા કરી છે.
'વંદે ભારત' અને ચિનાબ બ્રિજના કર્યા મનભરીને વખાણ
સોનમ વાંગચુકે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'મને હંમેશાં રેલવે દ્વારા મુસાફરી કરવી ખૂબ ગમે છે, પરંતુ વંદે ભારત ટ્રેનમાં સફર કરવાનો અનુભવ એકદમ અલગ અને અદ્ભુત રહ્યો છે. રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ (Chenab Railway Bridge) પરથી વંદે ભારત ટ્રેનમાં પસાર થવું એ અત્યંત સુંદર અનુભવ હતો. આવા વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશની ટૅક્નોલૉજી ક્ષેત્રે પ્રગતિ અને શાનદાર કનેક્ટિવિટીનું પ્રતીક છે.'
આંદોલનકારી યુવાનો પર કાનૂની કાર્યવાહી ન કરવા અપીલ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વખાણ કરવાની સાથે સાથે સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને એક ખાસ અપીલ પણ કરી છે. 26 દિવસના આંદોલન બાદ સરકાર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને યુવાનો પર કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ન કરવાના પોતાના લેખિત વચન પર કાયમ રહેવું જોઈએ, જેથી દેશના યુવાનોમાં સરકાર અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસનો માહોલ જળવાઈ રહે.
એન્જિનિયરિંગની અજાયબી: એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ બ્રિજ
આ રેલવે રૂટનું સૌથી મોટું આકર્ષણ ચિનાબ નદી પર બનેલો આર્ચ બ્રિજ છે. આ પુલ નદીના સ્તરથી 359 મીટરની ઊંચાઈ પર આવેલો છે, જે પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં પણ આશરે 35 મીટર વધુ ઊંચો છે. આ પુલ કલાકના 266 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને રિએક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપને પણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
દિલ્હીથી શ્રીનગરનું અંતર હવે મિનિટોમાં કપાશે
નવી દિલ્હી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. સામાન્ય રીતે જમ્મુથી શ્રીનગર સડક માર્ગે જવામાં 7થી 10 કલાકનો સમય લાગતો હતો, જ્યારે હવે ટ્રેન દ્વારા જમ્મુથી શ્રીનગરનું અંતર માત્ર 3.5 કલાકમાં અને દિલ્હીથી શ્રીનગરની સફર 13 કલાકથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જાય છે.









