PoKમાં ફરી ભરેલો અગ્નિ! સેનાએ ગોળીબાર કરતાં 9 આંદોલનકારીના મોત; ઈન્ટરનેટ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PoK Rawalakot Protest: પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન પર પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા કથિત ગોળીબાર બાદ ભારે હિંસા ફાટી નીકળી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
રાવલકોટમાં સુરક્ષા દળોનું અંધાધૂંધ ફાયરીંગ, 9 લોકોના મોત
રાવલકોટમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર કથિત રીતે ગોળીબાર શરૂ કરી દીધો હતો. જોઇન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ના જણાવ્યા અનુસાર, આ ગોળીબારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય અહેવાલોમાં મૃત્યુઆંક આનાથી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. કમિટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ મૃતકોમાં ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદ ઇબ્રાહિમ, અરસલ અસગર, હનીફ મોહમ્મદ બશીર, વસીમ અફઝલ, બાબિત શાહ અને સાબિર ખાન સામેલ છે.
જૂન મહિનાથી સળગી રહ્યું છે PoK, ચારેય તરફ બંધનો માહોલ
PoKમાં જૂન મહિનાની શરૂઆતથી જ મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ધરણાં, રેલીઓ અને જાહેર વાહનવ્યવહાર તેમજ દુકાનો અને અન્ય વ્યવસાયો બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ આંદોલન શરૂ થયું ત્યારથી જ પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પોલીસ તેમજ અર્ધસૈનિક દળો વચ્ચે અવારનવાર હિંસક ઝઘડા થઈ રહ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોની સાથે કેટલાક સુરક્ષાકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા છે.
પ્રદર્શનકારીઓની શું છે મુખ્ય માગણીઓ?
સ્થાનિક નાગરિકો અને સંગઠનો પોતાની કેટલીક પડતર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માગણીઓમાં સ્થાનિક વિધાનસભામાં 12 અનામત બેઠકોની વ્યવસ્થા નાબૂદ કરવી, સ્થાનિક લોકોને વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવું, ધરપકડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવા તેમજ વીજળીના દરો અને અન્ય આર્થિક મુદ્દાઓમાં સુધારો કરીને બહેતર શાસન વ્યવસ્થા પૂરી પાડવાનો સમાવેશ થાય છે.









