India

જગદીપ ધનખડને આજ સુધી સરકારી બંગલો નથી ફાળવાયો, જાણો ક્યાં રહે છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ?

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રાજીનામાંના એક વર્ષ પછી પણ સરકારી આવાસ મળ્યું નથી. દિલ્હીના છતરપુર સ્થિત INLD નેતા અભય સિંહ ચોટાલાના ફાર્મહાઉસમાં તેઓ રહેવા મજબૂર છે. નિયમ મુજબ, નિવૃત્ત ઉપરાષ્ટ્રપતિને જીવનભર સરકારી બંગલો મળે છે. ધનખડે 21 જુલાઈ, 2025ના રોજ અચાનક રાજીનામું આપ્યું હતું. આવાસ મંત્રાલયને તેમની તરફથી કોઈ અરજી મળી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

જગદીપ ધનખડને આજ સુધી સરકારી બંગલો નથી ફાળવાયો, જાણો ક્યાં રહે છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ?
IMAGE - IANS

Jagdeep Dhankhar Residence: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક આપેલા રાજીનામાંએ ભારે ચર્ચા જગાડી હતી. પદ પરથી હટ્યા બાદ તેમણે પોતાનો સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો. આજે તેમના રાજીનામાંને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, સરકાર તરફથી તેમને હજુ સુધી કોઈ સરકારી આવાસ ફાળવવામાં આવ્યું નથી. જેના કારણે તેઓ હાલમાં એક પ્રાઈવેટ ફાર્મહાઉસમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિને જીવનભર સરકારી આવાસ આપવાનો નિયમ છે.

પ્રાઈવેટ ફાર્મહાઉસમાં આશરો લેવા મજબૂર બન્યા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ

મળતી માહિતી મુજબ, જગદીપ ધનખડ હાલમાં દિલ્હીના છતરપુર સ્થિત ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય સિંહ ચોટાલાના ખાનગી ફાર્મહાઉસમાં રહે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જગદીપ ધનખડને હજુ સુધી કોઈ સરકારી બંગલો આપવામાં આવ્યો નથી અને આ મુદ્દે તેમની ઓફિસ કે કાર્યાલય તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

21 જુલાઈ 2025ના રોજ અચાનક આપ્યું હતું રાજીનામું

જગદીપ ધનખડે 21 જુલાઈ, 2025ની મોડી સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન જજ જસ્ટિસ યશવંત વર્મા સામે તપાસ સમિતિ ગઠિત કરવા માટે વિપક્ષે આપેલી નોટિસને રાજ્યસભાના સભાપતિ તરીકે તેમણે સ્વીકારી લીધી હતી. આ નિર્ણય લેતા પહેલાં તેમણે સરકાર સાથે કોઈ ચર્ચા-વિચારણા કરી નહોતી. જે બાદ તેમણે અચાનક રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. જોકે, રાજીનામાં પત્રમાં તેમણે આરોગ્યના કારણો અને તબીબી સલાહનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો હતો કે તેમની પાસેથી બળજબરીથી રાજીનામું લેવડાવવામાં આવ્યું છે.

શું કહે છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિના સરકારી આવાસ અંગેના નિયમો?

સરકારી નિયમો અનુસાર, નિવૃત્ત ઉપરાષ્ટ્રપતિને જીવનભર માટે દેશમાં પોતાની પસંદગીના સ્થળે વિના મૂલ્યે, વીજળી અને પાણીના ચાર્જ વગરનું સજ્જ સરકારી આવાસ મેળવવાનો કાનૂની અધિકાર છે. તેમને 'ટાઈપ-8' શ્રેણીનો બંગલો આપવામાં આવે છે, જેને લુટિયન્સ દિલ્હીમાં ઉપલબ્ધ સૌથી મોટો અને ઉચ્ચ શ્રેણીનો સરકારી બંગલો માનવામાં આવે છે. જો કોઈ સ્થળે સરકારી આવાસ ઉપલબ્ધ ન હોય, તો સરકાર 2000 ચોરસ ફૂટનો વિસ્તાર ધરાવતું મકાન ભાડે (પટ્ટે) લઈને આપવા માટે પણ બંધાયેલી છે. આ માટે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં અરજી કરવાની હોય છે.

અગાઉના પૂર્વ ઉપરાષ્ટ્રપતિઓને તાત્કાલિક મળ્યા હતા બંગલા

જગદીપ ધનખડ પહેલાં ઉપરાષ્ટ્રપતિ રહેલા એમ. વેંકૈયા નાયડુએ 11 ઓગસ્ટ, 2022ના રોજ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો અને ઓક્ટોબર 2022 સુધીમાં તેઓ દિલ્હીના 1, ત્યાગરાજ માર્ગ સ્થિત ભવ્ય બંગલામાં શિફ્ટ થઈ ગયા હતા. તેની સરખામણીએ જગદીપ ધનખડે નિવૃત્તિના લગભગ છ અઠવાડિયા પછી 1 સપ્ટેમ્બર, 2025ના રોજ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલાના પુત્ર અભય ચોટાલાના ફાર્મહાઉસમાં આશરો લીધો હતો. શરૂઆતમાં આ અસ્થાયી વ્યવસ્થા માનવામાં આવતી હતી, પરંતુ એક વર્ષ વીતી ગયા પછી પણ તેઓ ત્યાં જ રહી રહ્યા છે.

મંત્રાલયને હજુ સુધી નથી મળી કોઈ સત્તાવાર અરજી

જગદીપ ધનખડ દેશના પ્રથમ એવા ઉપરાષ્ટ્રપતિ હતા જેઓ ચર્ચ રોડ પર બનેલા નવા ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવમાં રહ્યા હતા. તેમણે પદ છોડ્યા પછી અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે તેમના માટે ટાઈપ-8 બંગલો તૈયાર રાખવામાં આવ્યો છે. જોકે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તેમજ સંપદા નિર્દેશાલયના અધિકારીઓનું કહેવું છે કે તેમને જગદીપ ધનખડ તરફથી આવાસ ફાળવણી માટેનો કોઈ ઔપચારિક અનુરોધ કે અરજી મળી નથી. આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર તરફથી પણ કોઈ નિવેદન આવ્યું નથી.