દરગાહના ઢાળ પર બસ બેકાબૂ થઇ જતાં 9 કચડાયાં, 3ના મોત, રાજસ્થાનના ઝાલાવાડની કમકમાટીભરી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jhalawar Bus Accident Patlapeer Dargah : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભીમસાગર ક્ષેત્રમાં આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળ પાતલાપીર દરગાહ પાસે શનિવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. અહીં ઢાળવાળા રસ્તા પર એક ખાનગી બસ અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી અને નીચે ઊભેલા લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક દુર્ઘટનામાં કુલ નવ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ઘાયલોની ઝાલાવાડ અને ખાનપુરની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્રણ શ્રદ્ધાળુઓના કરૂણ મોત અને ઘાયલોની સારવાર
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કોટા જિલ્લાના રામગંજમંડી નિવાસી હામિદ ખાનનું ખાનપુર હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જેનો શવ ત્યાંની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલાવાડની એસઆરજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રેહાન (20) અને પુત્ર ફારૂક અને તાલિબ પુત્ર અકીલ (બંને રહેવાસી રામગંજમંડી, કોટા) ના પણ મોત નીપજ્યા હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. આ ઉપરાંત, અલ્ફેઝ (25) (નિવાસી ગોવિંદ નગર, કોટા) ની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલુ છે.
ઢાળણ પર બસ અનિયંત્રિત થવાથી સર્જાઈ દુર્ઘટના
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ લોકો પાતલાપીર દરગાહ પર દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે શનિવારે રાત્રે આ ખાનગી બસ ઢાળ પરથી નીચે આવી રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ અનિયંત્રિત થઈને ત્યાં ઊભેલા લોકોને કચડી ગઈ હતી.
વહીવટી તંત્ર અને અધિકારીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ઝાલાવાડ એસઆરજી હોસ્પિટલ લાવવામાં આવ્યાની જાણ થતાં જ જિલ્લાનું વહીવટી અને તબીબી તંત્ર સક્રિય થઈ ગયું હતું. સીએમએચઓ ડૉ. સાજિદ ખાન, મેડિકલ કોલેજના ડીન ડૉ. સંજય પોરવાલ અને ડેપ્યુટી હર્ષરાજ ખરેડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી અને તબીબોને ઉત્તમ સારવાર પૂરી પાડવા માટે દિશાનિર્દેશો આપ્યા હતા. પોલીસ હાલ આ મામલે બસના બ્રેકફેલ થવાની કે અન્ય ટેકનિકલ ખામી સહિતના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે.









