'પહેલા જ દિવસથી 57% નિકાસ ટૅરિફ ફ્રી થશે', ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ડીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-New Zealand Trade Deal : અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલો વિવાદ અને પશ્ચિમ-એશિયામાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે ભારત માટે ન્યૂઝીલૅન્ડ તરફથી મોટા આર્થિક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના પ્રવાસે છે અને હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં છે. અહીં તેઓ ન્યૂઝીલૅન્ડ જવાના છે, જોકે તે પહેલા ન્યૂઝીલૅન્ડે ભારત સાથેના વેપાર અંગે મોટી જાહેરાત કરી છે.
ન્યૂઝીલૅન્ડના PMની ભારત સાથેના કરાર અંગે મોટી જાહેરાત
ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારત સાથેના પ્રસ્તાવિત વેપાર સમજૂતી અંગે કહ્યું છે કે, ભારત સાથેના કરારનો અમલ થતાં જ ન્યૂઝીલૅન્ડથી ભારતમાં 57 ટકા સામાન કોઈપણ ટૅરિફ વગર મોકલવામાં આવશે. લક્સનના આ નિર્ણયથી બંને દેશોના વેપાર સંબંધો વધુ ઊંચાઈએ પહોંચી ગયા છે.
57% પ્રોડક્ટ પર ટૅરિફ નહીં : PM લક્સન
ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાને(New Zealand PM Christopher Luxon) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘ભારત સાથે 'મુક્ત વેપાર કરાર'થી ન્યૂઝીલૅન્ડના કારોબારમાં અનેક તકો ઊભી થશે. ન્યૂઝીલૅન્ડથી ભારતમાં નિકાસ થનાર 57 ટકા પ્રોડક્ટ પર કોઈપણ પ્રકારનો ટૅરિફ નહીં લાગે. આ નિર્ણયથી બંને દેશોના વેપારને નવો વેગ મળશે.’
PM મોદી 10-11 જુલાઈએ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10થી 11 જુલાઈએ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે જવાના છે. લગભગ ચાર દાયકા બાદ ભારતના કોઈપણ વડાપ્રધાનનો ન્યૂઝીલૅન્ડનો આ પ્રથમ પ્રવાસ હશે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આમંત્રણ બાદ આ પ્રવાસનું આયોજન કરાયું છે.
બંને દેશો PM વચ્ચે વેપાર, સંરક્ષણ અને રોકાણ પર થશે વાતચીત
મીડિયા રિપોર્ટ મુજબ, વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન લક્સન વચ્ચે મહત્ત્વની બેઠક યોજાશે, જેમાં બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, ટૅક્નોલૉજી અને અન્ય મહત્ત્વના મુદ્દાઓમાં ભાગીદારી વધારવા પર ચર્ચા થશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરશે અને અનેક સમજૂતીઓને આગળ વધારવાની પણ વાતચીત કરશે.
PM મોદી ભારતીય સમુદાય અને ઉદ્યોગપતિઓ સાથે પણ કરશે મુલાકાત
ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Narendra Modi) મુખ્ય ઉદ્યોગપતિઓ, રમત-જગતની હસ્તીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધન પણ કરશે. આનાથી બંને દેશોના લોકો વચ્ચે આપતી સંબંધો વધુ મજબૂત થશે.
3 દેશો સાથે ભારતની મજબૂત ભાગીદારી
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, ત્યારબાદ તેઓ 10-11 જુલાઈએ ન્યૂઝીલૅન્ડ જવાના છે, જે તેમનો આ પ્રવાસનો અંતિમ પડાવ હશે. વડાપ્રધાન મોદીએ અનેક દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે 6 જુલાઈથી પ્રવાસ શરૂ કર્યો છે. સૌપ્રથમ તેઓ ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા અને હવે તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસ બાદ તેઓ 10-11 જુલાઈએ ન્યૂઝીલૅન્ડ પહોંચવાના છે. હિંદ-પ્રશાંત વિસ્તારના મુખ્ય દેશો સાથે વેપાર, રોકાણ, સંરક્ષણ, ટૅક્નોલૉજી અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં ભારતની ભાગીદારી અને સંબંધો મજબૂત કરવો તે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.









