Get The App

બંગાળમાં 'દાદા'નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
બંગાળમાં 'દાદા'નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો 1 - image

5 Reasons Why Suvendu Adhikari Became West Bengal CM : પશ્ચિમ બંગાળમાં ભાજપે મુખ્યમંત્રી પદ માટે શુભેન્દુ અધિકારી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ નિર્ણય પાછળ ભાજપનો એજન્ડા ઘુસણખોરી અટકાવવા, વહીવટી સુધારા અને ચૂંટણી ઢંઢેરાના વચનો પૂરા કરવાનો છે.

કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધારાસભ્ય દળની બેઠકમાં આ જીતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, મિત્રો, આ જીત માત્ર ભાજપના વિસ્તાર કે વિચારધારા પૂરતી મર્યાદિત નથી. આ વિજયનું સૌથી મોટું મહત્વ એ છે કે તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના સૌથી મોટા છિદ્રને પૂરી દેશે. હવે પશ્ચિમ બંગાળમાં ઘુસણખોરી અને ગૌ-તસ્કરી અશક્ય બની જશે.

શા માટે શુભેન્દુ અધિકારી?

બંગાળમાં ભાજપનો મુખ્ય મુદ્દો ઘુસણખોરી અને તેના કારણે આવતા વસતી વિષયક ફેરફારો રહ્યા છે. આને રોકવા માટે ભાજપને એક એવા મજબૂત નેતાની જરૂર હતી જે વહીવટી અનુભવ ધરાવતા હોય. શુભેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસની બીજી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હોવાથી તેમની પાસે વહીવટી પકડ છે.

શુભેન્દુની નિમણૂક કરીને ભાજપે પોતાનું એ વચન પણ પાળ્યું છે કે બંગાળના મુખ્યમંત્રી કોઈ બંગાળી જ હશે. આનાથી તૃણમૂલ કોંગ્રેસના "બહારના લોકો" (bohiragatos) વાળા નેરેટિવનો પણ અંત આવ્યો છે. અધિકારીની છબી મમતા બેનર્જી જેવી જ એક 'સ્ટ્રીટ ફાઈટર' નેતા તરીકેની છે, જે વહીવટ ચલાવવામાં પણ એટલા જ સક્ષમ છે.

ભ્રષ્ટાચાર સામે લડાઈ અને ભવિષ્યનો રોડમેપ

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકાર તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર પર 'વ્હાઇટ પેપર' બહાર પાડશે અને એક કમિશનની રચના કરશે. શુભેન્દુએ શુક્રવારે પોતાના ભાષણમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આના કારણે વિપક્ષના અનેક નેતાઓ તપાસના ઘેરામાં આવી શકે છે અને ધરપકડ પણ થઈ શકે છે. આ કડક એજન્ડાને અમલી બનાવવા માટે ભાજપને એક મજબૂત મનોબળ ધરાવતા નેતાની જરૂર હતી.

મમતા બેનરજીને સતત બે વખત હરાવ્યા 

શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજી સતત બે ચૂંટણીમાં (2021માં નંદીગ્રામ અને આ વખતે ભવાનીપુર) હરાવ્યા છે. 5 વર્ષ પહેલાં ચૂંટણી પછીની હિંસા દરમિયાન પણ તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા, જેના કારણે કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. હિન્દી પટ્ટીના રાજ્યોની જેમ કોઈ અજાણ્યા ચહેરાને થોપવાને બદલે, ભાજપે બંગાળમાં સર્વસ્વીકૃત ચહેરા પર દાવ ખેલ્યો છે.