India

મેઘતાંડવ વચ્ચે મુંબઇ-પૂણે રેલવે રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે 30 ટ્રેનો 7 દિવસ માટે રદ

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
ભોર ઘાટ સેક્શનમાં ભૂસ્ખલનને કારણે મુંબઈ-પૂણે રેલ માર્ગ 17 જુલાઈ સુધી પ્રભાવિત રહેશે. મધ્ય રેલવેએ 30 ટ્રેનો રદ કરી છે, જેમાં ડેક્કન ક્વીન જેવી મુખ્ય ટ્રેનોનો સમાવેશ થાય છે, જેનાથી હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ST નિગમ દ્વારા મુંબઈ-પૂણે રૂટ પર 200 વધારાની બસો દોડાવવામાં આવશે. રેલવે યુદ્ધના ધોરણે સમારકામ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘતાંડવ વચ્ચે મુંબઇ-પૂણે રેલવે રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે 30 ટ્રેનો 7 દિવસ માટે રદ

Mumbai Pune Train Cancelled: ભોર ઘાટ સેક્શનમાં થયેલા ભારે ભૂસ્ખલનને કારણે મુંબઈ-પૂણે રેલ માર્ગ પરનો વાહનવ્યવહાર 17 જુલાઈ સુધી ગંભીર રીતે પ્રભાવિત રહેશે. મધ્ય રેલવે દ્વારા આ રૂટ પર દોડતી 14 દૈનિક ટ્રેનો, 8 સ્પેશિયલ તારીખો પર ચાલતી ટ્રેનો અને 8 સ્પેશિયલ ટ્રેનો સહિત કુલ 30 રેલ સેવાઓ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પ્રમુખ ટ્રેનો થઈ રદ: મુસાફરો મુકાયા મુશ્કેલીમાં

આ અકસ્માત અને ટ્રેનો રદ થવાને કારણે દૈનિક અપડાઉન કરતા અને બહારગામ જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. રદ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનોમાં ડેક્કન ક્વીન, ડેક્કન એક્સપ્રેસ, મુંબઈ-પૂણે ઈન્ટરસિટી એક્સપ્રેસ, સીએસએમટી-હૈદરાબાદ એક્સપ્રેસ, ચેન્નઈ એગ્મોર સુપરફાસ્ટ મેઈલ અને હુબ્બલી-દાદર એક્સપ્રેસ જેવી મહત્ત્વની ટ્રેનોનો સમાવેશ થાય છે.

ત્રણેય રેલવે લાઈનો થઈ ક્ષતિગ્રસ્ત, યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

ગત 6 જુલાઈના રોજ પડેલા મુશળધાર વરસાદને પગલે કર્જત અને લોનાવાલા વચ્ચે આવેલા ઠાકુરવાડી તેમજ મંકી હિલ વિસ્તારમાં અનેક જગ્યાએ ભેખડો ધસી પડી હતી. આ ભૂસ્ખલનના કારણે રેલવેની ત્રણેય લાઈનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. હાલમાં રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, દુર્ગમ પહાડી વિસ્તાર અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ત્રણમાંથી માત્ર એક જ લાઈન પુનઃસ્થાપિત કરી શકાઈ છે, જ્યારે બાકીની બે લાઈનો પર કામ હજુ પણ ચાલુ છે.

એસટી નિગમ મદદે: મુંબઈ-પૂણે રૂટ પર દોડશે 200 વધારાની બસો

ટ્રેનો રદ થવાને કારણે મુસાફરોને પડતી હાલાકી ઓછી કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (MSRTC) શનિવારથી મુંબઈ-પૂણે માર્ગ પર દરરોજ 200 વધારાની બસ સેવાઓ શરૂ કરશે. આ રૂટ પર પહેલાથી જ 312 ઈ-શિવનેરી બસો ચાલી રહી છે, ત્યારે આ નવી વધારાની બસો શરૂ થવાથી મુસાફરો કોઈપણ હાલાકી વગર અને સરળતાથી મુસાફરી કરી શકશે.