India

UPની જેલોમાં એઈડ્સના કેસમાં ઉછાળો, એક જેલમાં મહિલા સહિત 23 કેદીઓ HIV સંક્રમિત

By GS Team
13 Jul 20222 mins read
This article was originally published on 13 Jul 2022
UPની જેલોમાં એઈડ્સના કેસમાં ઉછાળો, એક જેલમાં મહિલા સહિત 23 કેદીઓ HIV સંક્રમિત

- એચઆઈવી સંક્રમિત મોટા ભાગના દર્દીઓ ડ્રગ્સ એડિક્ટ હતા અને કેદીઓના શિફ્ટિંગના કારણે એઈડ્સ ફેલાઈ રહ્યો હોવાનું તારણ

સહરાનપુર, તા. 13 જુલાઈ 2022, બુધવાર

ઉત્તર પ્રદેશના સહરાનપુરની જિલ્લા જેલમાં બંધ 23 કેદીઓમાં એચઆઈવીની પુષ્ટિ થવાના કારણે સરકારી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. આ અંગેની જાણ થયા બાદ જેલ પ્રશાસને તમામ સંક્રમિત કેદીઓનું જિલ્લા હોસ્પિટલ પરિસર સ્થિત એઆરટી સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરાવીને તેમની સારવાર શરૂ કરાવી દીધી છે. આ સાથે જ જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, સંબંધિત તમામ લોકોના પરિવારજનોની તપાસ કરાવવામાં આવશે. 

કઈ રીતે પડી ખબર

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલી તપાસ શિબિરમાં આ વિશે ખુલાસો થયો હતો અને તેમણે જેલ પ્રશાસનને આ અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગે જેલ પ્રશાસન અને શાસનને આ અંગે રિપોર્ટ સોંપ્યો છે. કેદીઓમાં એચઆઈવી સંક્રમણની જાણ થયા બાદ જેલ પ્રશાસને તે કેદીઓની હિસ્ટ્રી ફંફોસવાનું શરૂ કર્યું છે જેથી એચઆઈવી સંક્રમણના સોર્સ વિશે જાણી શકાય. 

તમામ સંક્રમિત કેદીઓ છે ડ્રગ એડિક્ટ

સ્વાસ્થ્ય વિભાગના કહેવા પ્રમાણે જે કેદીઓ એચઆઈવી સંક્રમિત આવ્યા છે તે સૌ ડ્રગ એડિક્ટ છે. નશો કરવાના આરોપસર તે સૌની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકીના મોટા ભાગના ગંગોહ, બેહટ, દેવબંદ તથા મિર્ઝાપુર જેલના કેદીઓ છે. તે સૌ કેદીઓ 5થી 7 માસના સમયગાળા પહેલા જેલમાં આવ્યા હતા. આમ કેદીઓના શિફ્ટિંગના કારણે અન્ય જેલોમાં એઈડ્સ ફેલાઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે. 

5 કેદીઓ પહેલેથી સારવાર અંતર્ગત

જિલ્લા જેલમાં 2,200થી પણ વધારે કેદીઓ બંધ છે. ગત 15થી 21 જૂન દરમિયાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમુક દર્દીઓમાં ટીબીના લક્ષણો જોવા મળ્યા હતા. તેમનો એઈડ્સનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. જેલમાં બંધ 5 કેદીઓની એઈડ્સની સારવાર પહેલેથી જ ચાલી રહી હતી.