Get The App

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત 1 - image


Rajasthan Buas Accident : ગુજરાત સાથેની સરહદે આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. સાંચોરથી જયપુર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પલટી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.



કેવી રીતે દુર્ઘટના સર્જાઈ 

આ દુર્ઘટના આહોર પોલીસ સ્ટેશન વિસ્તારના અગવરી ગામ પાસે નેશનલ હાઈવે 325 પર બની હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની બસ સાંચોરથી જયપુર તરફ જઈ રહી હતી. જ્યારે બસ અગવરી ગામ પાસે પહોંચી, ત્યારે અચાનક રસ્તા પર આવેલા એક પશુને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસને વાળતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, બસ બેકાબૂ થઈને રસ્તાની બાજુમાં આવેલી ખાઈમાં જઈને પલટી ગઈ. બસ પલટતા જ મુસાફરોમાં ચીસો અને બૂમાબૂમ મચી ગઈ હતી અને ઘણા લોકો બસ નીચે દબાઈ ગયા હતા.

પોલીસ અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી

અકસ્માતની જાણ થતાં જ આહોર પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. બસ નીચે દબાયેલા યાત્રીઓને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેનની મદદ લેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પુત્રને મળવા જતા માતા-પિતાનું મોત

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં લિયાદરાના રહેવાસી ફગલુરામ બિશ્નોઈ અને તેમના પત્ની હુઆ દેવીનું મોત થયું છે. જાણવા મળ્યું છે કે આ દંપતી સાંચોરથી અજમેરમાં રહેતા તેમના પુત્રને મળવા માટે નીકળ્યું હતું, જે ત્યાં સ્ટીલ રેલિંગનો વ્યવસાય કરે છે. પરંતુ રસ્તામાં જ આહોર પાસે આ દર્દનાક અકસ્માત નડ્યો, જેમાં બંનેએ જીવ ગુમાવ્યા.

આહોર પોલીસ સ્ટેશનના થાણા અધિકારી કરણસિંહે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ રસ્તા પર અચાનક આવેલા પશુને બચાવવાનો પ્રયાસ હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દુર્ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ઘટના બાદ થોડા સમય માટે રાષ્ટ્રીય રાજમાર્ગ 325 પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.