Mumbai

કાલથી બે દિવસ સમાજશાસ્ત્ર, અંગ્રેજી, કોમર્સની યુજીસી નેટ ફેરપરીક્ષા

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
યુજીસી-નેટ જૂન 2026ની પુનઃપરીક્ષા 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. મુંબઈ ખાતે અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં ભૂલોને કારણે આ નિર્ણય લેવાયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 4 સપ્ટેમ્બરથી ઉમેદવારોના લોગ-ઇનમાં એડમિટ કાર્ડ ઉપલબ્ધ કરાવાયા છે, જે ડાઉનલોડ કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલથી બે દિવસ સમાજશાસ્ત્ર, અંગ્રેજી, કોમર્સની યુજીસી નેટ ફેરપરીક્ષા

યુજીસી- નેટની વેબસાઈટ પર એડમિટ કાર્ડ ઉપલબ્ધ

ત્રણેય  વિષયોની પરીક્ષામાં  પશ્નપત્રોમાં  અનેક ભૂલો મળી આવ્યા બાદ પુનઃ પરીક્ષાનો નિર્ણય લેવાયો હતો

મુંબઈ  -  યુનિવર્સિટી  ગ્રાન્ટ્સ કમિશનની યુજીસી- નેટ જૂન ૨૦૨૬ની પુનઃપરીક્ષા હવે ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. આ પુનઃ પરીક્ષા અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર આ ત્રણ વિષયો માટે યોજાશે.

નેશનલ  ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આ પુનઃપરીક્ષા માટેના એડમિટકાર્ડ ચાર સપ્ટેમ્બરથી જ ઉમેદવારોના લોગ-ઇનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેથી સંબંધિત ઉમેદવારો હવે પોતાના લોગ-ઇન વિગતોનો ઉપયોગ કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાની તારીખ અંગેની માહિતી ઉમેદવારોને અગાઉ એક સપ્ટેમ્બરે જ જાહેર કરવામાં આવેલી એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ દ્વારા આપવામાં આવી હતી. તેથી હવે ઉમેદવારોએ અંતિમ એડમિટકાર્ડ ડાઉનલોડ કરીને તેમાં દર્શાવેલી પરીક્ષાની તારીખ, કેન્દ્ર અને અન્ય વિગતો ધ્યાનપૂર્વક ચકાસવાની રહેશે. યુજીસી- નેટની પુનઃપરીક્ષા સંબંધિત સત્તાવાર સૂચનાઓ પણ એનટીએની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૬ માં યોજાયેલી યુજીસી- નેટની પરીક્ષા દરમિયાન,  અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં ઘણી વિસંગતતાઓ નોંધાઈ  હતી. ત્યારબાદ, એનટીએ એ આ ફરિયાદોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.

સમિતિની  તપાસમાં ત્રણેય વિષયોના પ્રશ્નપત્રોમાં અસંખ્ય તથ્યલક્ષી, ટાઇપોગ્રાફિકલ,  અનુવાદ અને વ્યાકરણની ભૂલો મળી આવી હતી અને તેથી જ સમિતિએ આ ત્રણેય વિષયો માટે ફરીથી પરીક્ષા લેવાની ભલામણ કરી હતી. જેના પગલે એનટીએએ હવે ૯ અને ૧૦ સપ્ટેમ્બરના આ ત્રણેય વિષયો માટે પુનઃ પરિક્ષાનું આયોજન કર્યું છે. આમાં ૯ સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી અને કોમર્સની પુનઃ પરિક્ષા યોજાશે. તો ૧૦ સપ્ટેમ્બરના સમાજશાસ્ત્ર વિષય માટે પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.