મુમ્બ્રાની ખાડીમાં ન્હાવા પડેલા ત્રણનાં ડૂબી જતાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

થાણે જિલ્લામાં ૨૪ કલાકમાં પાંચનાં મોત
ભિવંડી પાસે તાનસા નદીમાં ડૂબી જવાથી કિશોર વયના બે સગાભાઇઓના મોત
મુંબઇ - થાણે િ જલ્લામાં રવિવારે બે વિવિધ ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. પહેલી ઘટનામાં મુંબ્રાના રેતી બંદરની ખાડીમાં ન્હાવા અને તરવા પડેલા ત્રણ વ્યક્તિના જ્યારે ભિવંડી તાલુકાના અકલોલીની તાનસા નદીમાં ન્હાવા માટે પડેલા બે સગાભાઇઓના મોત થયા હતા. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો.
પહેલી ઘટનામાં મુંબ્રાના ઠાકુંરપાડા રહેતા આલમ સૈય્યદ (૪૨) રિઝવાન સૈય્યદ (૪૨) અને સાહિલ પોલંદાસ (૩૦) નામના ત્રણ વ્યક્તિ રવિવારે બપોરે મુંબ્રાના રેતીબંદર વિસ્તારની ખાડીમાં ન્હાવા માટે પડયા હતા. આ ત્રણેયને પાણીની ઉંડાઇનો ખ્યાલ ન હોવાથી અને ખાડીના પાણીના તીવ્ર વહેણમાં ત્રમેય ડૂબી ગયા હતા. કલાકોની શોધખોળ બાદ તેમના મૃતદેહ મળ્યા હતા.
આ પ્રકારની બીજી ઘટના ભિવંડી તાલુકાના અકલોલી સ્થિત ગણેશપુરીમાં બની હતી. અહીં રામબચન ચૌહાણ નામનો રિક્ષાચાલક તેની પત્ની અને બે પુત્ર અને એક પુત્રી સાથે પર્યટન માટે આવ્યો હતો. આ સમયે તેના બે પુત્રો અરુણ (૧૩) અને આયુષ (૧૦) અહીંના ગરમ કુંડમાં સ્નાન કરવા આવ્યા હતા. આ લોકો ગરમ કુંડમાં સ્નાન કર્યા બાદ પાસેથી વહેતી તાનસા નદી પાસે ફરી રહ્યા હતા ત્યારે અરુણ અને આયુષશ નદીના પાણીમાં ન્હાવા પડયા હતા અને જોત-જોતામાં ન્હાતા-ન્હાતા ઉંડા પાણી તરફ આગળ વધી ગયા હતા. આગળ પાણી તેજ ગતિમાં વહેતું હોવાથી બન્ને ખેંચાઇને ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. આ ઘટના બની ત્યારે માતા-પિતા બન્ને ખાવાનું લેવા પાસેના એક સ્ટોલમાં ગયા હતા.
જ્યારે બાળકો ગુમ હોવાની તેમને જાણ થઇ ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા અને સ્થાનિકોને જાણ કરી હતી. સ્થાનિક તરબૈયા યુવાનો તાત્કાલિક નદીમાં કૂદ્યા હતા એક એક કલાકની જહેમત બાદ બન્નેને બહાર કાઢ્યા હતા પણ આ દરમિયાન બન્નેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ગણેશપુરી પોલીસે બન્ને બાળકોના મૃતદેહ તાબામાં લઇ આગળની પ્રક્રિયા માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.




