Mumbai

ભારતીય જનતા પક્ષના નેતાના નિવેદનથી શિંદે ગુ્રપમાં નારાજી

By GS Team
18 Mar 20232 mins read
This article was originally published on 18 Mar 2023
ભારતીય જનતા પક્ષના નેતાના નિવેદનથી શિંદે ગુ્રપમાં નારાજી

સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યો નથી ત્યાં

ભાજપ 240 પાર લડશે અને શિંદે-સેનાને 48 બેઠક ફાળવવામાં આવશે, એવાં બાવનકુળેના નિવેદનથી તિરાડ પડવાના એંધાણ

મુંબઇ: મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષના મામલે સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવ્યો નથી ત્યાં જ ભારતીય જનતા પક્ષ અને શિંદે-સેના વચ્ચેની નારાજી બહાર આવવા માંડી છે. આને લીધે આવનારા દિવસોમાં રાજકીય પરિસ્થિતિ પલ્ટાવા અનુમાન થવા માંડયું છે. 

ભાજપ ફૂંફાડો મારીને હવે શિંદે-સેનાને દબાવવા માગતી હોય એવા સૂરમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ખોંખારો ખાઈને કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૨૪૦ બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે શિંદે ગુ્રપને માત્ર ૪૮ બેઠકો ફાળવવામાં આવશે. કારણ કે તેમની પાસે ધારાસભ્યો કે નેતાઓ પણ નથી.

નાગપુરમાં પત્રકારોને સંબોધતા ચંદ્રશેખર બાવનકુળેએ આ જાહેરાત કરતા શિંદે ગુ્રપમાં નારાજી વ્યાપી છે.

આ અંગેનો બાવનકુળેનો વિડિયો વાઇરલ થતાં ચોફેરથી ટીકાઓ થઈ રહી છે. હવે આ નિવેદન પર બચાવ તેઓ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિધાનસભાની બેઠક માટે ભાજપ અને શિંદે ગુ્રપ વચ્ચે હજી કોઈ ફોર્મ્યુલા જાહેર થઈ નથી. ત્યાં બાવનકુળેએ સીધું રાજ્યની ૨૮૮ બેઠક પૈકી ભાજપ ૨૪૦ બેઠક અને શિંદે ગુ્રપને ૪૮ બેઠક ફાળવશે. શિંદે ગુ્રપ પાસે ૫૦ જેટલા ધારાસભ્ય કે નેતા નથી. આવા નિવેદનથી શિંદે ગુ્રપના ધારાસભ્યો રોષે ભરાયા છે.

જોકે બાવનકુળેએ કર્યું કે વાઇરલ થયેલો વિડિયો અડધો બતાવ્યો છે. જગા ફાળવવાનો નિર્ણય કેન્દ્ર અને રાજ્યના નેતૃત્વ લેશે. શિવસેના અને ભાજપ મળીને ૨૮૮ બેઠક પર ચૂંટણી લડશે. એમાં એનડીએના અન્ય ઘટક પક્ષનો પણ સમાવેશ થાય છે, એમ ચંદ્રશેખર બાવનકુળેએ ફેરવી તોળ્યું હતું.

વધુમાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે શિવસેના ભાજપ અને એનડીએના બધા ઘટક પક્ષો મળીને ૨૮૮ બેઠક પર ભાજપ પ્રચંડ કામ કરી રહી છે. ભાજપે જેટલી તૈયારી કરી છે તેટલી શિંદે ગુ્રપની શિવસેનાના કામમાં આવશે. ઉદ્ધવ ટાકરે ગુ્રપના કેટલાકના ધારાસભ્યો તથા પદાધિકારીઓ શિંદે ગુ્રપમાં પ્રવેશ કરશે એવો દાવો બાવનકુળેએ કર્યો હતો.

બાવનકુળેના નિવેદનથી શિંદે ગુ્રપના નેતા તથા ધારાસભ્ય સંજય શિરસાટે તથા અન્ય ધારાસભ્યોએ કહ્યું કે અમે ૧૩૦થી ૧૪૦ બેઠક પર ચૂંટણી લડીશું. સિનિયર સ્તરે મિટિંગ યોજીને બેઠક ભાળવણીની ફોર્મ્યુલા જાહેર થવા દો. તમને કોણે અધિકાર આપ્યો છે, એમ કહીને બાવનકુળે પર પસ્તાળ પાડી રહ્યા છે.

બાવનકુળેના નિવેદનથી શિંદે ગુ્રપના ધારાસભ્યોમાં અસંતોષ ફેલાતા બન્ને પક્ષ વચ્ચે તિરાડ પડી રહી હોવાનું નજરે પડે છે. રાજકી. વર્તુળોમાં આ મામલે અનેક અટકળો ઊભી થઈ છે.