ડિસ્ટન્સ લર્નિંગમાં અભ્યાસ સામગ્રી સમયસર મળતી નથી, મૂલ્યાંકનમાં છબરડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૮૦ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા બાદ સેન્ટરની કામગીરી અંગે અસંતોષ
પરીક્ષાની માહિતી છેક છેલ્લી ઘડીએ મળે છે, રોજગાર સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં પરિણામો પર ગેરવહીવટને લીધે માઠી અસર
મુંબઈ - મુંબઈ યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન (સીડીઓઈ)ના પ્રથમ વર્ષના બી.એ. અને બી.કોમ.ના પરિણામોને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જાહેર થયેલા પરિણામોમાં પરીક્ષા આપનારા આશરે ૮૦ ટકા વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવતા મૂલ્યાંકન પ્રક્રિયા અને પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ચિંતા અને રોષનું વાતાવરણ સર્જાયું છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને અભ્યાસસામગ્રી સમયસર મળતી નથી, પરીક્ષાઓ અંગેની માહિતી છેલ્લી ઘડીએ આપવામાં આવે છે અને ઉત્તરવહીઓનું યોગ્ય મૂલ્યાંકન થતું નથી. આ પ્રકારની ફરિયાદો તેઓ લાંબા સમયથી કરી રહ્યા હોવા છતાં યુનિવર્સિટી તરફથી તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ડિસ્ટન્સ એજ્યુકેશનમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ નોકરી, વ્યવસાય અથવા અન્ય જવાબદારીઓ સાથે અભ્યાસ કરતા હોવાથી પરીક્ષા અને પરિણામ સંબંધિત ગેરવહીવટ તેમના શિક્ષણ તેમજ કારકિર્દી પર સીધી અસર કરી શકે છે.
વિદ્યાર્થીઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના સેનેટના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોએ કુલસચિવ સાથે મુલાકાત કરી સમગ્ર મામલાની ઝીણવટભેર તપાસ કરવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નિષ્ફળ જવા પાછળ અધ્યાપનની ખામીઓ, ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં થયેલી ભૂલો અથવા પરીક્ષા વ્યવસ્થાપનમાં રહેલી ત્રૂટિઓ જવાબદાર છે કે કેમ તેની ગંભીરતાથી તપાસ થવી જરૃરી છે.
યુનિવર્સિટીઅ ે સ્પષ્ટતા કરી છે કે, એક અથવા વધુ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ 'અનુત્તીર્ણ' તરીકે દર્શાવવામાં આવે છે, છતાં તેમને બીજા સત્રમાં પ્રવેશ આપવામાં આવે છે જેથી તેમનું શૈક્ષણિક નુકસાન ન થાય. ઉપરાંત, પ્રથમ વર્ષની એટીકેટી પરીક્ષાઓ પચ્ચીસમી ઓગસ્ટથી યોજાનાર હોવાનું પણ યુનિવર્સિટીએ જણાવ્યું છે.









