ચેમ્બૂરમાં પીપળાનું તોતિંગ વૃક્ષ ઉખડીને સ્કૂલ બસ પર પડતાં વિદ્યાર્થીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.ની બેદરકારીએ માસુમ વિદ્યાર્થીનો ભોગ લીધો
૧૦ વિદ્યાર્થીઓ ઘાયલઃ રોકકળ તથા ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગાજી ઉઠયોઃ અંદર ફસાયેલાં બાળકોને બચાવવા સ્થાનિકો દોડયા
મુંબઈ - મુંબઈના ચેંબૂર વિસ્તારમાં મંગળવારે બપોરે ૨.૫૦ વાગ્યે પીપળાનું વિશાળ વૃક્ષ મૂળ સોતું ઉખડીને સ્કૂલ બસ પર તૂટી પડતાં બસમાં સ્કૂલેથી ઘરે પરત જઈ રહેલાં ૧૦થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થી હતી. તેમાંથી એક વિદ્યાર્થી ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું. અન્ય એક વિદ્યાર્થીની હાલત પણ ગંભીર હોવાનું જણાવાયું છે.
તિલકનગરની યુનિવર્સલ હાઈસ્કૂલની એમએચ૦૩/સીવી/-૭૪૩૯ રજીસ્ટ્રેશન નંબરવાળી બસ વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે મૂકવા જઈ રહી હતી. બસમાં ં ૧૩ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.
તોતિંગ વૃક્ષ બસ ઉપર જ પડતાં બસનો ઉપરનો ભાગ આખો ચગદાઈ ગયો હતો. વિદ્યાર્થીઓની ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગાજી ઉઠયો હતો. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડયા હતા.
એક પછી એક ૧૦ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ ૧૧ વર્ષીય વિહાન મોડે સુધી બસની અંદર જ ફસાયેલો રહ્યો હતો. આખરે તેના પણ બહાર કાઢીને નજીકની હોસ્પિટલે લઈ જવાયો હતો પરંતુ ત્યાં ીંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પાલિકાના આપત્તિ વ્યવસ્થાપનના કર્મચારીઓ, ફાયરબ્રિગેડની ટીમ તથા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવકાર્ય શરુ કર્યું હતું. બસ પર તૂટી પડેલું વૃક્ષ ભારે વજનદાર અને વિશાળ હોવાથી તેને ખસેડવા માટે પ્રશાસન દ્વારા તાત્કાલિક જેસીબી બોલાવવામાં આવ્યું હતું. જેસીબી અને અત્યાધુનિક કટર્સના માધ્યમે ઝાડને કાપીને બાજુએ ખસેડવાનું કામ મોડી સાંજ સુધી ચાલ્યું હતું. વચ્ચે વચ્ચે વરસી રહેલાં વરસાદને કારણે બચાવકાર્ય તથા ઝાડ હટાવવામાં પણ તંત્રને ખૂબ તકલીફો નડી હતી.
ફરિયાદો અવગણનારા અધિકારી સામે પગલાં લેવાશે
ચેંબૂર દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા મેયર રિતુ તાવડેએ કહ્યું હતું કે મેં અનેકવાર વૃક્ષોની છટણી બાબતે આદેશ આપ્યો હતો અને તેનું ઓડિટ કરવા પણ કહ્યું હતું. જોકે સ્થાનિકોએ એવો આરોપ કર્યો છે કે તેમણે અનેકવાર પત્ર લખી પાલિકાને આ વૃક્ષ ડેન્જર ઝોનમાં હોવાનું જણાવ્યું હતું. આથી જો તે પત્રો મારે હાથે લાગ્યાં તો સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એક મેયર તરીકે નહિ પરંતુ એક માતા તરીકે મને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે.
મારું બાળક તો નથીને ,હાંફળાફાંફળા વાલીઓ ઘટનાસ્થળે, હોસ્પિટલમાં દોડયા
બપોરે સ્કૂલ છૂટયા પછી યુનિવર્સલ શાળાના બાળકો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે તેઓ ઘરે સાજાસમાં પહોંચવાનાં નથી. બાળકો ક્યારે વહેલું ઘર આવે તેની રાહમાં હતાં અને અચાનક વૃક્ષ તેમની સ્કૂલ બસ પર જ પડયું હતું. આ દુર્ઘટનાથી હેબતાઈ ગયેલાં અને ઈજા પામેલાં બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. બીજી તરફ વાલીઓની મનઃસ્થિતિ પણ ભારે કરુણ બની હતી. બપોરે મેસેજ વહેતો થયો હતો કે સ્કૂલ બસ પર વૃક્ષ તૂટી પડયું છે તેમાં અનેક બાળકો ફસાયાં છે. તરત જ દૂર દૂર કામ ધંધા માટે ગયેલાં વાલીઓ ના જીવ ઉચાટમાં મૂકાયા હતા. મારાં સંતાનની શું હાલત છે તેવી ગભરામણ સાથે તેઓ દોડાદોડ ઘટનાસ્થળે તથા હોસ્પિટલમાં પહોંચ્યા હતાં.




