શરદ પવાર ભાજપ તરફ ઝૂક્યાના સંકેતો, સુપ્રિયાનું સીમાંકન બિલ માટે ગ્રીન સિગ્નલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: શરદ પવારની એનસીપી ભાજપનાં વડપણ હેઠળના એનડીએમાં સામેલ થશે તેવી વ્યાપક અટકળો વચ્ચે શરદ પવારની એનસીપીના નેતાઓ તથા અજિત પવારની એનસીપીના નેતાઓએ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચાઓ કરી હોવાનું કહેવાય છે. બીજી તરફ સુપ્રિયા સૂળેએ પણ સીમાંકન બિલમાં ખાસ કાંઈ વિરોધ કરવા જેવુું છે નહિ તેમ જણાવી તેમનો પક્ષ સંસદમાં નવેસરથી રજૂ થનારાં સીમાંકન બિલને મંજૂરી આપી શકે છે તેવો સંકેત આપ્યો છે.
સીએમનાં સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે શરદ પવારની એનસીપીના નેતા જયંત પાટીલ ફડણવીસને મળ્યા હતા. આ જ અરસામાં અજિત પવારની એનસીપીના પ્રફુલ્લ પટેલ તથા સુનિલ તટકરે પણ અહીં ફડણવીસને મળ્યા હતા. જયંત પાટીલે ફડણવીસને મળતાં પહેલાં શરદ પવારના નિવાસસ્થાને જઈ તેમની સાથે બેઠક યોજી હતી. આ સમગ્ર ઘટનાક્રમથી શરદ પવાર ભાજપ તરફ ઝૂક્યા હોવાની છેલ્લા કેટલાય સમયથી ચાલતી ચર્ચાઓને બળ મળ્યું હતું.
જોકે, જયંત પાટીલે બાદમાં દાવો કર્યો હતો કે તેઓ સીએમને તેમના મતવિસ્તારનાં કામ માટે જ મળ્યા હતા. જયંત પાટીલે એમ પણ કહ્યું હતું કે સ્વ. અજિત પવારના નિધન બાદ બંને એનસીપીના વિલયની ચર્ચાઓ બંધ થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે દાવો કર્ય ોહતો કે ભાજપ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ થનારા ૧૩૧ મા બંધારણીય સુધારા બિલને પસાર કરાવવા માટે શરદ પવારની એનસીપી (એસપી) અને ડીએમકે નું સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહી છે.




