૭ મહિનામાં ૧૬૨ કરોડ રૃપિયા સ્કેમર્સના હાથમાં જતા બચાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન ૧૯૩૦ પર સમયસર સંપર્કથી મદદ મળી
૨૦૨૨થી અત્યાર સુધીમાં કુલ ૫૫૨ કરોડની રકમ બચાવી ઃ આ વર્ષે સાત મહિનામાં હેલ્પલાઈનને ૨.૭ લાખ કોલ મળ્યા
મુંબઈ - સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ને લીધે આ વર્ષના ફક્ત સાત જ મહિનામાં ૧૬૨ કરોડ રૃપિયાની અધધ રકમ સ્કેમર્સ/ ફ્રોડસ્ટરોના હાથમાં જતા બચી ગઈ હતી.
આ હેલ્પલાઈનની શરૃઆત વર્ષ ૨૦૨૨માં કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં જનતા કુલ ૫૫૨ કરોડ રૃપિયા બચાવી શકાયા છે. આ બાબતે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ 'ગોલ્ડન અવર' (છેતરપિંડી થયાના અમુક કલાક)માં સંપૂર્ણ ટ્રાન્ઝેકશન સાથે વિગતો આપી છેતરપિંડીની જાણ કરે છે ત્યારે આ હેલ્પલાઈન સૌથી વધુ અસરકારક પૂરવાર થાય છે.
આ બાબતે અધિકારીઓએ એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જૂન મહિનામાં એક અગ્રણી મલ્ટિપ્લેક્સ ચેઈનના કર્મચારીને એક્ઝીકયુટીવ ડિરેકટરે ફોન કરીને તાત્કાલિક ૧૦.૪ કરોડ રૃપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જોકે સામે છેડે ફ્રોડસ્ટરો હતો જેમણે ડિરેકટરના ફોટોગ્રાફનો ઉપયોગ વોટ્સએપ ડિસ્પ્લે પર કર્યો હોવાથી સામેનો કર્મચારી થાપ ખાઈ ગયો હતો અને દબાણ આવીને ૬૩ ટ્રાન્ઝેકશન દ્વારા ૧૦.૪ કરોડ રૃપિયાની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. આ છેતરપિંડીનો ખુલાસો થયા બાદ ૧૯૩૦ હેલ્પલાઈન પર ફરિયાદ કર્યા બાદ 'ગોલ્ડન અવર'માં પોલીસ ૫.૭ કરોડ રૃપિયા બ્લોક કરવામાં સફળ રહી હતી.
આવા બીજા એક કિસ્સામાં ગયા અઠવાડિયે એક ખાનગી કંપનીના એકાઉન્ટન્ટને એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો. કંપનીના વરિષ્ઠ અધિકારીનો વોટ્સએપ મેસેજ હોવાનું માની એકાઉન્ટન્ટે તેના નિર્દેશ અનુસાર એક કરોડ રૃપિયાની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે નિયમિત ચકાસણી દરમિયાન ખબર પડી કે વરિષ્ઠ અધિકારીએ આવો કોઈ મેસેજ કર્યો જ નહોતો. કંપનીના મેનેજમેન્ટે તાત્કાલિક સાયબર હેલ્ફ લાઈન ૧૯૩૦નો સંપર્ક કરતા ફ્રોડસ્ટરો કોઈ રકમ ઉપાડે તે પહેલા જ તાલીમ પામેલી પોલીસ ટીમે આખી રકમ બ્લોક કરી દીધી હતી.
જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો તરફથી હેલ્પલાઈનને ૨.૭ લાખ કોલ્સ મળ્યા હતા. જેમાં ફક્ત જુલાઈ મહિનામાં જ ૫૩ હજાર કોલનો સમાવેશ થાય છે. આ મહિનામાં ૨૪.૫ કરોડ રૃપિયા કરોડ રૃપિયા બ્લોક કરવામાં મદદ મળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશો મળ્યા પછી વસૂલ કરાયેલી રકમ પીડિતોને પાછી આપવામાં આવે છે.









