દિલીપકુમારના મ્યુઝિયમની જગ્યા વેચી દેવાની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાયરાબાનુએ વેચાણ માટે પ્રયાસ શરુ કર્યા
અગાઉ આ બંગલાની જમીનના મુદ્દે ૨૦૧૮માં વિવાદ થયો હતા
મુંબઇ - અભિનયના શહેનશાહ દિલીપકુમારના બાંદરામાં આવેલા આલીશાન બંગલાનું રીડેવલપમેન્ટ કરી ૧૧ માળની ભવ્ય ઇમારત બાંધવામાં આવી છે. આ જગ્યાનો એક હિસ્સો ટ્રેજડી કિંગ દિલીપકુમારના મ્યુઝિયમ માટે ફાજલ રાખવામાં આવ્યો હતો એ હવે દિલીપકુમારના બેગમ સાયરાબાનું વેંચી નાખવાની વેતરણમાં હોવાનું કહેવાય છે.
એક જમાનામાં બાંદરામાં દિલીપકુમારનો આલીશાન બંગલો હતો તે પાડીને ૧૧ માળની 'ધ લેજેન્ડ બાય આશર' નામની ઇમારત બાંધવામાં આવી છે. આ બંગલાનું રીડેવલપમેન્ટ કરનારા બિલ્ડરે દંતકથારૃપ અભિનેતાની કાયમી સ્મૃતિ માટે આ જગ્યાએ મ્યુઝિયમ ઉભું કરવાની ૨૦૨૩માં જાહેરાત કરી હતી.
હવે વિતેલા વર્ષોની અભિનેત્રી અને દિલીપકુમારના જીવનસાથી સાયરાબાનુ ૧,૬૯૬ ચોરસ ફૂટની આ જગ્યા વેંચી નાખવા માટેની વિધિ શરૃ કરી હોવાનું કહેવાય છે. મ્યુઝિયમ માટેની જગ્યામાં સ્વતંત્ર એન્ટ્રી- એક્ઝિટની અને ત્રણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવવાની હતી, એમ રિયલ એસ્ટેટ ક્ષેત્રના એક જાણકારે જણાવ્યું હતું.
બંગલાનું રીડેવલપમેન્ટ હાથ ધરવામાં આવ્યું એ પહેલાં થયેલા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં જણાવાયું હતું કે સાયરાબાનુને સાડાત્રણ કરોડની રિફન્ડેબલ ડિપોઝીટ ચૂકવવામાં આવશે. જ્યારે મકાન બંધાઇને તૈયાર થઇ જશે ત્યારે સાયરાબાનુએ આ રકમ પરત કરવી પડશે. એટલે સાયરાબાનુ પોતાનો હિસ્સો વેંચી નાખવા માગશે તો એમાંથી તેણે સાડાત્રણ કરોડ ભરપાઇ કરવા પડશે.
આ અગાઉ દિલીપકુમારનો બંગલો ૨૦૧૮માં સમાચારોમાં ઝળક્યો હતો. એ વખતે સાયરાબાનુએ એવો આરોપ કર્યો હતો કે એક ડેવલપર તેનો બંગલો હડપ કરવાનો પ્રયાસ કરે છે. સાયરાબાનુએ આ બાબતમાં મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખામાં ફરિયાદ કર્યા પછી ડેવલપરની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી આ કાનૂની મુદ્દે બંને પક્ષ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૨માં પહેલા ડેવલપર સાથે સમાધાન થયું હતું અને એપ્રિલ ૨૦૨૩માં અત્યારના ડેવલપર સાથે કરાર થયા હતા.









