એક્સપાયર થયેલી સેલાઇન બોટલ ચડાવાતા દર્દીની હાલત ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દર્દીને ખાનગી હોસ્પિટલના આઇસીયુ માં ખસેડાયાઃ સ્વજનોનો દ્વારા દેખાવો બાદ તપાસનું આશ્વાસન
મુંબઇ - નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાશીની હોસ્પિટલમાં દાખલ એક દર્દીના સગા- સંબંધીઓએ એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં દાખલ તેમના સંબંધી એક્સપાયર થયેલ સેલાઇન બોટલ ચડાવવામાં આવતા તેમની હાલત લથડી હતી અને તેઓ ગંભીર બની જતા તેમને વધુ સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના માટે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહીની માગણી સાથે અમૂક સમાજસેવી સંગઠનના કાર્યકરો સાથે વાશીની હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા હતા. આ બાબતે વધુ વિગતાનુસાર ગોપીરામ ખડસે (૫૦)ને તાવ અને ચક્કર આવવાને કારણે ૩૧ ઓગસ્ટના રોજ વાશીની પાલિકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરી લેવામાં આવ્યા હતા. પહેલી સપ્ટેમ્બરના રોજ તેઓ સવારથી બપોર સુધી સ્થિર હાલતમાં હતા, ત્યારબાદ અચાનક તેમની તબિયત બગડી હતી અને વધુ સારવાર માટે તેમને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન ખડસેના સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેમને પાછળથી ખબર પડી હતી કે સારવાર દરમિયાન તેમને એક્સપાયર થયેલ સેલાઇનની બોટલ ચડાવવામાં આવી હતી. સેલાઇન આપ્યા પછી તેમની તબિયત બગડી ગઇ અને ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે હોસ્પિટલના સંબંધિત ડોક્ટરો અને સ્ટાફને વારંવાર ફરિયાદ કરવા છતાં, સમયસર કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ માહિતી મળ્યા પછી ખડસેના સગાસંબંધીઓ અને એક સમાજસેવી સંગઠનના કાર્યકરો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને એક્સપાયર થયેલ સેલાઇન ચડાવનારાઓ સંબંધિત વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આ ઘટના બાદ વાશીની પાલિકા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. રવિન્દ્રા મ્હાત્રેએ દર્દીના સંબંધીઓના એક્સપાયર થયેલા સેલાઇનના ઉપયોગ અંગેની ફરિયાદ પર તપાસ કરવામાં અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના ચેરમેન ડો. જયાજી નાથે જણાવ્યું હતું કે પ્રાપ્ત માહિતી મુજબ દર્દીને ડેન્ગ્યુ થયો હતો અને તેના લોહીમાં પ્લેટલેટ ઘટીને ૪૦ હજાર થઇ ગયા હતા જે તેમની ગંભીર સ્થિતિ માટે જવાબદાર હોવાની શક્યતા છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે આ બાબતે વધુ તપાસ કરી જો કોઇ દોષિત જણાશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.




