Mumbai

કોર્ટની મંજૂરી છતાં નરેશ ગોયલ વિદેશ પ્રવાસે નહિ જાય

By GS Team
30 May 20262 mins read
કોર્ટની મંજૂરી છતાં નરેશ ગોયલ વિદેશ પ્રવાસે નહિ જાય

હાઈકોર્ટમાં સોગંદનામું આપ્યું

હજુ અન્ય કેસોમાં લૂક આઉટ સર્ક્યુલર અમલી હોવાથી જઈ શકે તેમ નથી

મુંબઈ મની  લોન્ડરિંગ કેસમાં આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલએ બોમ્બે હાઈકોર્ટને જાણ કરી છે કે વિશેષ કોર્ટની પરવાનગી મેળવવા છતાં તેઓ તાત્કાલિક તબીબી સલાહ માટે વિદેશ પ્રવાસ કરશે નહીં, કારણ કે તેમની વિરુદ્ધ ઘણા લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) હજુ પણ અમલમાં છે.

ગોયલે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અરજીના જવાબમાં એક સોગંદનામું દાખલ કર્યું જેમાં તેમણે ૧૨ મેના રોજ લંડન જવાની પરવાનગી આપતા ખાસ કોર્ટના આદેશને પડકાર્યો હતો.

પોતાના સોગંદનામામાં, ૭૭ વર્ષીય ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે વિશેષ અદાલતે તેમને વિદેશ પ્રવાસની પરવાનગી છે. પણ  જ્યાં સુધી અન્ય  એલઓસી અંગે યોગ્ય કાનૂની રાહત ન મળે ત્યાં સુધી તેમનો હાલમાં દેશ છોડવાનો કોઈ ઇરાદો નથી.

ઈડીએ ગોયલને આપવામાં આવેલી પરવાનગીનો વિરોધ કર્યો છે, એવી દલીલ કરી છે કે આરોપોની ગંભીરતા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસને ધ્યાનમાં રાખીને તેમને ભારત છોડવાની મંજૂરી આપવાથી ભાગી જવાનું જોખમ ઊભું થઈ શકે છે. ઈડીએ દાવો કર્યો છે કે જો તેમને લંડન મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે તો તેઓ ફરાર થઈ શકે છે.

જોકે, ગોયલે કહ્યું છે કે આ વિનંતી ફક્ત તબીબી હેતુ માટે હતી. તેમના વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને તેમને લંડનમાં વિશેષ સલાહ અને સારવારની જરૃર છે. કોર્ટે આ કેસની સુનાવણી ૧૦ જૂને રાખી ન હતી.

ગોયલ પર જેટ એરવેઝ માટે કેનેરા બેન્કમાંથી લોન લઈ ઉચાપત, ડાયવર્ઝન તથા લોન્ડરિંગના આરોપો છે.