Mumbai

મેસેજ ડિલિવર્ડ નોટ સીનઃ પરિવાર હજુ સ્વ. પુત્રનો મોબાઈલ રિચાર્જ કરાવી મેસેજ મોકલે છે

By GS Team
13 Jun 20262 mins read
મેસેજ ડિલિવર્ડ નોટ સીનઃ પરિવાર હજુ સ્વ. પુત્રનો મોબાઈલ રિચાર્જ કરાવી મેસેજ મોકલે છે

વૃદ્ધ પિતા રોજ પોતાનું રુટિન મેસજ પર જણાવાતા રહે છે, તેમને આશા છે કે પુત્ર ક્યાંક આ મેસેજ વાંચતો હશે

મુંબઈ    અમદાવાદમાં  ગયા વર્ષે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેબિન ક્ સભ્યનો પરિવાર સતત તેમનો મોબાઇલ ફોન રિચાર્જ કરી રહ્યો છે અને સક્રિય કનેક્શન જાળવી રાખી રહ્યો છે .જેથી તેઓ તેને વોટ્સએપ પર  સંદેશાઓ મોકલી  શકે અને તેને યાદ રાખી શકે.

      એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા દરેક પરિવાર જુદી જુદી રીતે શોક રાખી તેમના પરિજનને યાદ કરે છે.

     આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેબિન ક્ મેમ્બર બાવીસ  વર્ષીય ઇરફાન શેખના માતા-પિતા માટે  પુત્રને યાદ કરવાની રીત એ છે કે તેઓ તેમના રોજિંદા જીવનની વાત વોટ્સએપ પર  શેર કરે છે. તેમને એવી આશા છે કે  સંદેશાઓ પુત્ર  સુધી પહોંચાડવામાં આવ્યા હશે.

      ઈરફાનના પિતા સમીર શેખે શુક્રવારે જણાવ્યું હતું કે પુણેમાં રહેતો પરિવાર પુત્રનો મોબાઈલ નંબર નિયમિત રિચાર્જ કરાવે છે જેથી તેના પર વ્હોટસ એપ સંદેશા મોકલી શકાય.    અકસ્માતને એક વર્ષ થઈ ગયું છે. અમે  તેના વોટ્સએપ પર મેસેજ મોકલતા રહીએ છીએ, તેને અમારા રૃટિન વિશે જણાવીએ છીએ. અમે આજે પણ તેનો મોબાઈલ રિચાર્જ કર્યો છે. અમને લાગે છે કે મેસેજ તેને પહોંચાડી દેવામાં આવ્યા છે, એમ  શેખે રડી પડતા કહ્યું હતું. તેમજ શેખના  પરિવાર દ્વારા ઈરફાનને તેના મોબાઈલ પર મોકલવામાં આવેલા મેસેજ બતાવ્યા હતા.

     સમીર શેખે જણાવ્યું  કે તેઓ હજુ પણ માનવા તૈયાર નથી કે તેમના પુત્રનો મૃતદેહ બળીને ખાખ થઈ ગયો હતો.

     અમને કહેવામાં આવ્યું હતું કે બધા મૃતદેહો બળી ગયા છે. જ્યારે અમે પોસ્ટમોર્ટમ રૃમમાં ગયા  ત્યારે અમને તેના સામાનનું એક બોક્સ આપવામાં આવ્યું હતું. એમાં તેના કપડા, શર્ટ, પેન્ટ, બેલ્ટ, મોજાં અને અન્ડરગાર્મેન્ટ હતા. તે બળી ગયા ન હતા. આમ છતાં  તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે તેનું શરીર બળી ગયું હતું એમ  તેમણે ઉમેર્યું હતું.